GONDAL : માર્કેટ યાર્ડમાં લાભ પાંચમના મુહૂર્તથી જણસીની આવકો શરૂ, જણસીની આવક આગામી દિવસોમાં વધશે તેવી ધારણા
અહેવાલ - વિશ્વાસ ભોજાણી સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું સાત દિવસનું વેકેશન પૂરું થતા લાભપાંચમથી જણસીની આવક શરૂ થવા પામી હતી અને વેપારીઓ અને ખેડૂતોએ વિવિધ જણસીઓના મુહૂર્તો કર્યા હતા. આગામી દિવસોમાં જણસીની સારી એવી આવક થશે તેવી...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું સાત દિવસનું વેકેશન પૂરું થતા લાભપાંચમથી જણસીની આવક શરૂ થવા પામી હતી અને વેપારીઓ અને ખેડૂતોએ વિવિધ જણસીઓના મુહૂર્તો કર્યા હતા. આગામી દિવસોમાં જણસીની સારી એવી આવક થશે તેવી ધારણા યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી.
લાભપાંચમ એ વિવિધ જણસીની આવક થવા પામી હતી
ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ડુંગળી, લસણ, કપાસ, સોયાબીન, મરચા સહિત જણસી આવક થવા પામી હતી જેમાં મગફળીની 20 થી 22 હજાર ગુણી, લસણની 10 હજાર ગુણી, ડુંગળીના અંદાજે 18 હજાર કટ્ટા, સોયાબીનના અંદાજે 6 કટ્ટા, મરચાની 3500 ભારીની આવક નોંધાઈ હતી.
હરાજીમાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રાજાઓ બાદ આજરોજ લાભપાંચમના દિવસે વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ 900 થી 1400 સુધીના બોલાયા હતા.લસણના 20 કિલોના નીચા ભાવ 800 થી ઉંચા ભાવ 3000 સુધીના બોલાયા હતા. કપાસના 800 થી 1450 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. ખેડૂતોને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ધાર્યા કરતાં જણસીની આવક ઓછી થઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમતું થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ, ખેડૂતો, મજુરો, વાહનોની આજથી ચહલ પહલ જોવા મળી હતી. ત્યારે લાભપાંચમને શનિવાર હોય અને રવિવારે યાર્ડમાં રજા હોય તેને લઈને જણસીઓની આવક ઓછી થવા પામી હતી. પરંતુ આગામી દિવસો મગફળી, ડુંગળી, કપાસ, સોયાબીન સહિતની જણસીની આવકમાં વધારો જોવા મળશે અને સારી એવી જણસીની આવક થશે તેવી યાર્ડના સત્તાધીશો દ્વારા ધારણા કરવામાં આવી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જણસી લઈને આવતા હોય છે
ખેડૂતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવાકે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને પોતાની જણસીના હરાજીમાં સારા એવા ભાવ મળતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
આ પણ વાંચો -- PORBANDAR : મહેમાન બનેલ ગીરની સિંહણ અને બાળ સિંહને સલામત સ્થળે ખસેડાયા, વન વિભાગનું મૌન વ્રત ! સતાવાર રીતે કોઈ જાહેરાત નહી
Advertisement