લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઇ, દીયર-નણંદના લગ્ન પ્રસંગમાં વીજ કરંટથી પરણિતાનું મોત
ન જાણ્યું જાનકી નાતે કાલે સવારે શું થવાનું આ કહેવત ગોંડલ તાલુકાના દાળીયા ગામે યથાર્થ થવા પામી છે પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલી રહ્યો હતો તે દરમિયાન સ્નાન કરવા માટે ગયેલ પરિણીતાને પાણી ગરમ કરવાના હીટર દ્વારા વીજ કરંટ લાગતા તેનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને લગ્નના ગીતો મરશિયામાં ફેરવાયા હતા.. મૃતક પરિણિતાના દિયર અને નણંદના લગ્નના પ્રસંગમાં આ ઘટના ઘટી હતી.. અને સમગ્ર પ્રસંગ શોકમાં ફેરવાઇ ગયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના દાડિયા ગામે રહેતા ભાવનાબેન હિતેશભાઈ સખીયા ( ઉ.વ. 47) ના નણંદ અને દિયરના લગ્ન પ્રસંગ લેવાયેલા હોય મહેમાનોના કલરવ વચ્ચે સર્વે લોકો લગ્ન પ્રસંગની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભાવનાબેન સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા જ્યાં તેમને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા પળ ભરમાં જ તેમનું મોત નીપજતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો પરંતુ સંસ્કૃતિ મુજબ લગ્ન લેવાઈ ગયેલા હોય દિયરની જાનને પટેલ પરિવારે કાળજા પર પથ્થર મૂકી શાપર રવાના કરી હતી જ્યારે નણંદની જાન આવતા ટૂંકમાં લગ્ન પ્રસંગ પૂરો કરવા વિધિ કરવામાં આવી હતી.ભાવનાબેન નણંદ અને દિયર ના લગ્ન પ્રસંગને લઇ ખૂબ હરખ ઘેલા બન્યા હતા પરંતુ તેમનું અકાળે નિધન થતાં પટેલ પરિવાર શોકમગ્ન બન્યો હતો અને એક પુત્ર પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.