Junagadh માં સર્વ પિતૃ અમાસ નીમીત્તે દામોદર કુંડ પર ભાવિકોની ભીડ, મોટી સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પિતૃતર્પણ કર્યું
જૂનાગઢમાં સર્વ પિતૃ અમાસ નિમિત્તે પૌરાણિક અને પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને ભાવિકોએ પિતૃતર્પણ કર્યુ હતું. અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન અને તર્પણ કરવાનું અનેરૂં મહત્વ છે.
ગિરનારની ગોદમાં આવેલા પૌરાણિક દામોદરકુંડ ખાતે સર્વ પિતૃ અમાસ નીમીત્તે મોટી સંખ્યામાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવે છે. પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ અને આત્મ કલ્યાણ અર્થે અમાસ નું દામોદર કુંડમાં સ્નાન કરીને પ્રાચીન પીપળાના વૃક્ષને જળ ચડાવી અંજલી આપી પિતૃ તર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ચારધામની યાત્રા પછી પણ જો દામોદર તિર્થક્ષેત્ર ના દર્શન કરવામાં ન આવે તો ચાર ધામની યાત્રા અધુરી રહે છે.
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે. નરસિંહ મહેતા પણ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં અને ભગવાન દામોદરના સાનિધ્યમાં ભજનો ગાતા, ભગવાને નરસિંહ મહેતાના અનેક કાર્યો પૂરા કર્યા જે રીતે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, નરસિંહ મહેતાના પિતાનું શ્રાધ્ધ પણ ભગવાન દામોદરજીએ આજ દામોદર કુંડ પર કર્યુ હતું. તેથી અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવાનું અનેરૂં મહત્વ છે. પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરેલા આધ્યાત્મિક કાર્યો તથા ઉપવાસના આજના દિવસે પારણાં થાય છે, વહેલી સવારથી ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરવા આવે છે, પ્રાચીન મોક્ષ પીપળે જલ અર્પણ કરે છે, તિર્થગૌર બ્રાહ્મણો પાસે પિતૃ તર્પણ કરે છે અને પોતાના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
સ્વાભાવિક રીતે જ્યારે મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં સ્નાન માટે આવતાં હોય ત્યારે પોલીસની જવાબદારી પણ વધી જાય છે વળી ચોમાસાં દરમિયાન દામોદર કુંડમાં ન્હાવા પડેલા બાળકો ડૂબી જવાની ઘટના પણ બની હતી અને પુરમાં દામોદર કુંડ પરના પુલની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, ઉપરાંત ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી તથા પાકીટ ચોરીના બનાવો પણ બનતા હોય છે.
ત્યારે આવા કોઈ ગુન્હા ન બને તથા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાસ જૂનાગઢ પોલીસે તકેદારી લીધી હતી અને તે પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે જેમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય સાથે આવનાર ભાવિકોની સલામતી જળવાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, દામોદર કુંડ પર સાવચેતી માટેના બેનરો લગાવાયા હતા, સાથે કોઈ ઘટના બને અને મેડીકલ ઈમરજન્સી ઉભી થાય તો બે એમ્બ્યુલન્સ અને 108 સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, આ સાથે પોલીસ ની એક ટુકડીએ માનવતાનું કાર્ય પણ કર્યું, જે પોલીસ જવાનો અને અધિકારીઓ ફરજ પર હતા તેમને લીંબુ શરબત વિતરણ કરવામાં આવ્યું, ચાલીને જતાં યાત્રીકોને રાહત હેતુ પોલીસ દ્વારા લીંબુ શરબત વિતરણ કરીને એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્રનું સુત્ર સાર્થક થયું.
જૂનાગઢ સંતોની ભૂમિ છે અને અહીંયા ભજન ભક્તિ સાથે ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે, સામાન્ય રીતે મહાશિવરાત્રી મેળો અને પરિક્રમા સમયે અન્નક્ષેત્ર કાર્યરત હોય છે પરંતુ જૂનાગઢના સેવાભાવી સેજા ભગત રાડા છેલ્લા 25 વર્ષથી અમાસના દિવસે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે, પિતૃ તર્પણ માટે આવતાં ભાવિકોની સુવિધા હેતુ તેઓ આ સેવાકાર્ય કરી રહ્યા છે અને ગરમા ગરમ ભોજન પીરસીને પુણ્યનું ભાંથું બાંધી રહ્યા છે, સેજા ભગતની સાથે શહેરના 100 જેટલા સેવાભાવિ લોકો આ સેવાયજ્ઞમાં જોડાય છે અને જૂનાગઢનું આ એકમાત્ર એવું અન્નક્ષેત્ર છે જે પરિક્રમા દરમિયાન પણ સેવાભાવથી ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે.
અહેવાલ : સાગર ઠક્કર, જુનાગઢ
આ પણ વાંચો : પોલીસ કર્મચારીઓની વર્ષો બાદ થશે બદલી, કમિશનર મલિકે લીધો નિર્ણય