DAHOD : શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
DAHOD : દેશભરમાં જાહેર થયેલી 100 સ્માર્ટ સિટીમાં દાહોદ ( DAHOD ) નગરપાલિકાની પણ પસંદગી થઈ ત્યારથી નેતાઓ શહેરીજનોને સ્માર્ટ સિટીના મોટા મોટા સપના બતાવ્યા. પરંતુ સ્માર્ટ સિટીના નામ ઉપર સ્માર્ટ સિટી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા...
DAHOD : દેશભરમાં જાહેર થયેલી 100 સ્માર્ટ સિટીમાં દાહોદ ( DAHOD ) નગરપાલિકાની પણ પસંદગી થઈ ત્યારથી નેતાઓ શહેરીજનોને સ્માર્ટ સિટીના મોટા મોટા સપના બતાવ્યા. પરંતુ સ્માર્ટ સિટીના નામ ઉપર સ્માર્ટ સિટી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ચાર વર્ષથી શહેરમાં માત્ર ખોદકામ જ જોવા મળી રહ્યું. જેના કારણે લોકોને ખાડા અને ધૂળનો સામનો કરવો પડી રહયો છે. અલગ અલગ એજન્સીઑને કામ સોંપયા બાદ એજન્સીઓ દ્રારા મનમાની રીતે કામગીરી કરી રહ્યા છે.
લોકોને ગ્રાફિક્સના માધ્યમથી સ્માર્ટ સિટીના સપના બતાવ્યા હતા
પરંતુ તંત્ર અથવા તો નગરપાલિકાના ચૂંટાયેલ સભ્યો શહેરમાં થતી કામગીરી ઉપર આંખ આડા કાન કરી રહ્યા છે. લોકોને ગ્રાફિક્સના મધ્યમથી સ્માર્ટ સિટીના સપના બતાવ્યા હતા. જે જોઈને ખરેખર લોકોને ખુશી થતી હતી કે, દાહોદ સ્માર્ટ સિટી બનશે પરંતુ પરિણામ કઈક જુદું જ જોવા મળી રહ્યું છે. શહેરના જૂના માર્ગો ખોદીને ઉચ્ચ ગુણવત્તા વાળા પહોળા રસ્તાઓ બનવાની જાહેરાત બાદ અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પણ કામગીરી થઈ જેના કારણે સંખ્યાબંધ વેપારીઓના ધંધા રોજગાર છીનવાઈ ગયા તો બીજી તરફ રસ્તાની કામગીરી કરી રહેલી એજન્સી દ્રારા નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા બે મહિનાથી જૂનો રસ્તો ખોદી નાખી કામગીરી બંધ કરી દીધી
મનફાવે ત્યાં ખોદી નાખવું મન ફાવે ત્યાં થોડી થોડી કામગીરી કરી ટૂકડે ટૂકડે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ સ્માર્ટ સિટીના નિમાયેલા એંજિનયરો પણ આખ આડા કાન કરી રહ્યા છે. દાહોદના રળિયાતી રોડ ઉપર છેલ્લા બે મહિનાથી જૂનો રસ્તો ખોદી નાખી કામગીરી બંધ કરી દીધી. એટલું જ નહીં જૂનો રસ્તો ખોદી નાખ્યા બાદ કચરો પણ નથી હટાવવામાં આવ્યો અને માત્ર એક તરફનો રસ્તો ચાલુ હોવાથી આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. એક તરફનો રસ્તો બનાવવામાં આવ્યો તેમાં પણ અનેક સ્થળે ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે. તેમજ વચ્ચે નડતર રૂપ વીજપોલ હટાવ્યા વગર રસ્તો બનાવી દીધો અને ત્યારે પછી ઉપરથી વીજ પોલ કટીંગ કરતાં રસ્તાની વચ્ચે જ વીજપોલનો નીચેનો ભાગ આવી જતાં બાઇક ચાલકોને અકસ્માતની ભીતિ રહે છે તેમજ વાહનોના ટાયરને પણ નુકશાન પહોચે છે.
રસ્તો ખોદેલો હોવાથી વેપારીઓના ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનાથી વેપારીઓ અને આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હોળીના તહેવાર ટાણે જ વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા અને હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. ત્યારે તેમાં પણ વેપાર ધંધામાં માઠી અસર પડી રહી છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે જે પ્રકારે ગ્રાફિક્સના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું તેવી કામગીરી થાય અને ઝડપથી કામગીરી પૂરી થાય તો શહેરીજનોને પડતી મુશ્કેલીમાથી છૂટકો મળે.
અહેવાલ : સાબીર ભાભોર