Botad : કન્સ્ટ્રક્શન કંપની બેદરકારી સામે ફરિયાદ, મંત્રીએ કાફલો રોકાવ્યો
બોટાદ જિલ્લાના રાણપુરના બરાનિયા ગામ પાસે પથ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સિમેટના પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તેની આસપાસ કોઈ સાઇન બોર્ડ મુક્યું નહી હોવાથી ગઈકાલે સાંજે અકસ્માત સર્જાયો હતો. કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે કંપનીના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બરાનિયા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રીના બાઇક સવાર વિક્રમ ભાઈ ગાબુ તેમજ સંજય ગાબુ અને રમેશ ગાબુ ત્યાંથી પસાર થતા હતા ત્યારે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પાઇપલાઇન નાખવાના કામકાજને લઈ ખાડો ખોદેલ તેમજ તેની આજુબાજુ કપચીના ઢગલા તેમજ સિમેન્ટના પાઇપ મુકેલ હોય અને કોઈ સાઇન બોર્ડ મુકેલું નહી હોવાથી તેમનું બાઇક ખાડા માં પડતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં રમેશભાઈ ગાબુનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે વિક્રમભાઈ અને સંજયભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ પગલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ત્યાંથી પસાર થતા ઘટના સ્થળે કાફલો ઉભો રાખી મુલાકાત લીધી હતી. આ બનાવ પગલે રાણપુર પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે હાજર હોય મંત્રીએ બંને અધિકારીનો ઉધડો લીધો હતો.
કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પાઇપલાઇન નાખવાના કામકાજને લઈ ખાડો ખોદ્યો હતો અને આજુબાજુ કન્સ્ટ્રક્શનનો સામાન પડેલો હતો પણ કંપની દ્વારા રાહદારીઓને જાણ થાય તે માટે કોઈ પણ પ્રકારનું સાઈન બોર્ડ લગાવ્યું નહોતું તેથી આવી ગંભીર બેદરકારી બદલ પથ કંપનીના કોન્ટ્રાક્ટર અને તેના કામકાજ સાથે જોડાયેલા લોકો સામે બેદરકારી રાખવા બદલ રાણપુર પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 304, 337, 338 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : સુરત નિંદામણની કામગીરી કરતાં શ્રમજીવી પરિવારનું બાળક ખાડીમાં પડી જતાં મોત