Chhota Udepur : 50 વર્ષમાં પહેલીવાર હીરા ઉદ્યોગમાં ગંભીર મંદી! રત્ન કલાકારોની હાલત કફોડી બની
- છોટાઉદેપુરમાં રોજગારીના સપનાને લાગ્યો ઝટકો
- છોટા ઉદેપુર વિસ્તારમાં 50 વર્ષમાં પહેલીવાર હીરા ઉદ્યોગમાં ગંભીર મંદી
- અડધા કરતાં વધુ હીરા કારખાનાઓ બંધ, કલાકારો પર સંકટ
Chhota Udepur : છોટા ઉદેપુર વિસ્તારમાં અંદાજે 4 થી 5 હજાર લોકો જે ઉદ્યોગમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવતા હતા તે હીરા ઉદ્યોગ ઘેરી મંદીમાં સપડાતા તેનો ચળકાટ ઝંખવાયો છે. અને પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. કહેવાય છે કે, 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
છોટાઉદેપુરમાં રોજગારીનું સંકટ ઘેરાયું
છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીએ મોટો અને સળગતો પ્રશ્નો વર્ષોથી રહેતો આવ્યો છે. અહીં બે દાયકા પહેલા ડોલોમાઈટ ઉદ્યોગ એક મોટા રોજગારીના સ્ત્રોત તરીકે માનવામાં આવતો હતો. પરંતુ મંદીના ચક્રવ્યુમાં ડોલોમાઈટ ઉદ્યોગ પણ હાલ ડચકા ખાઈ રહ્યો છે. તેવામાં છેલ્લા 5 થી 7 વર્ષથી આ વિસ્તારમાં હીરા ઉદ્યોગના વેપારીઓએ અહીં હીરા ઘસવાના કારખાના શરૂ કરવામાં આવતા આ વિસ્તારના લોકો માટે રોજગારની સુવર્ણ તકો ઊભી થઈ હતી. પરંતુ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ પણ મંદીના ચક્રવ્યુમાં ઘેરાતા હાલ આંશિક રોજગારી આપતું સ્ત્રોત બનવા પામ્યું છે. કહેવાય છે કે, પાનવડ વિસ્તારમાં 60 થી 65 હીરા ઘસવાના કારખાના ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી વ્યાપતા હાલ 30 જેટલા કારખાનાઓ ઉપર તાળા લટકાવી દેવામાં આવ્યા છે. અને જેની અસર મોટા પ્રમાણમાં રોજગારી મેળવતી જનતા પર જોવા મળી રહી છે.
50% કારખાના બંધ, રત્ન કલાકારો બેરોજગાર
હાલ છોટા ઉદેપુર જિલ્લામાં રોજગારીનું સર્જન કરવામાં હીરા ઉદ્યોગનો મોટો હાથ છે. જિલ્લાના અર્થતંત્રને ધબકતું રાખવામાં હીરા ઉદ્યોગનો સિંહ ફાળો છે, તેમ કહીએ તો કાઇ ખોટું નથી. છોટાઉદેપુર જિલ્લામાં સુરત અમદાવાદ જેવા મોટા શહેરોમાં જઈ અને રત્ન કલાકારો તરીકે રોજી મેળવતા કલાકારો મોટી સંખ્યામાં આ વિસ્તારમાં તૈયાર થઈ જતાં અહીં છોટાઉદેપુર અને પાનવડ ખાતે 65- 70 કારખાનાઓ સ્થાપિત 5 થી 7 વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. જેને લઇ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો રોજીરોટી મેળવતા થયા હતા. પરંતુ છેલ્લા બે અઢી વર્ષથી હીરા ઉદ્યોગ પર મંદીના ઓછાયા શરૂ થયા હતા. જે સમય વીતવા સાથે ઘેરી મંદીમાં પરિવર્તિત થતા ગયા છે. અને હાલ 50% જેટલા કારખાના બંધ થતાં હાલ રત્ન કલાકારોની હાલત કફોડી થવા પામી છે.
રત્ન કલાકારોની હાલત કફોડી – સરકાર સમક્ષ માંગ
સાંપ્રત હાલના સમયમાં સ્થિતિ એ હદે પહોંચી છે કે, જે એકમો કાર્યરત છે તેમાં પણ કામકાજનો સમય ઘટાડી નાખવામાં આવ્યો છે. આમ, પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. અને કહેવાય છે કે છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે. બે અઢી વર્ષથી ચાલતી આ મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આથી આ બાબતે સરકાર દ્વારા ઠોસ પગલા ભરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના રત્ન કલાકારો તેમજ અગ્રણી દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલ - તૌફિક શેખ
આ પણ વાંચો : Dahod : ભાટીવાડામાં નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેક્ટમાં લાગી આગ