Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ  માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’

અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ અંગ્રેજી ભાષામાં મેન્ગૃવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરીયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે. આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા હોય છે. તે દરિયાઇ જીવસૃષ્ટિ માટે તો ફાયદાકારક છે...
કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ  માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા ‘ચેરીયાના વન’
અહેવાલ---કૌશિક છાયા, ક્ચ્છ
અંગ્રેજી ભાષામાં મેન્ગૃવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરીયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે. આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા હોય છે. તે દરિયાઇ જીવસૃષ્ટિ માટે તો ફાયદાકારક છે પરંતુ કુદરતી આફતોને રોકવામાં પણ મદદગાર હોવાથી વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ દરમિયાન કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા દરિયા કિનારાના રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેરના વાવેતર બાબતની MISHTI (Mangrove Initiative For Shoreline Habitats and Tangible Incomes) યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અતંર્ગત ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દિલ્હી ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવશે. જેમાં દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લામાં ચાર સ્થળો પર આ કાર્યક્રમની ઉજવણી હેઠળ ચેરીયાનું વાવેતર હાથ ધરાશે.
પર્યાવરણ દિવસે દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર
વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ યોજના અંતર્ગત દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. આ વાવેતરની કામગીરીમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરક્ષા દળો, જન પ્રતિનિધિઓ વગેરેને જોડવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ ૨૫ અલગ અલગ જગ્યાઓ પર આ દિવસે ચેરનું વાવેતર કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ ૨૫ જગ્યાઓ પૈકી કચ્છ જિલ્લામાં પણ ચાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લખપત તાલુકાના કોટેશ્વર, રોડાસર-લક્કી , અબડાસા તાલુકાનું જખૌ તથા મુંદરા તાલુકાના ઝરપરાનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે
જો ચેરીયાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો ૧૧૭૫ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે. ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે ૬૮ ટકા વિસ્તાર એટલે કે ૭૯૮.૭૪ ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે. આમ, સમગ્ર દેશમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૧ના રિપોર્ટ મુજબ કુલ ૪૯૯૨ ચો. કિ.મી.માં ચેરના જંગલો ફેલાયેલા છે.
કચ્છમાં ત્રણ પ્રકારના ચેરની હાજરી 
ચેરના વૃક્ષો મોટાભાગે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતાવાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે. આ વૃક્ષો આ ઉપરાંત નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે. કચ્છના દરિયા કિનારાના તથા ક્રીક વિસ્તારોમાં કુદરતી રીતે એવિસિનીયા મરીના પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા પાછલા થોડા વર્ષોમાં આ વિસ્તારોમાં ચેરની બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટલ નું વાવેતર કરતા હાલ થોડા પ્રમાણમાં આ બંને પ્રજાતિની પણ હાજરી નોંધાયેલી છે.
પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણમાં ચેરની ભુમિકા   
દરિયા કિનારે વસતા જન સમૂહો માટે ચેરના વૃક્ષો આશીર્વાદ સમાન છે. ચેરના વૃક્ષો દરિયા કિનારાનું ધોવાણ થતું અટકાવે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષો ચક્રવાત તથા સુનામી જેવી કુદરતી આફતો સામે ઢાલ તરીકે વર્તીને કિનારાના વિસ્તારોમાં નુકસાનની તીવ્રતાઓ ઘટાડે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષોનું લાકડું સ્થાનિકો માટે બળતણ સ્ત્રોત તથા પશુઓના ખોરાકની પૂર્તિ તરીકે પણ વિશેષ રૂપે ઉપયોગી છે.
માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન
ચેર વિસ્તાર અલગ અલગ જૈવ વિવિધતા માટે ઉચ્ચકક્ષાનું આશ્રયસ્થાન છે. ચેર વિસ્તારોમાં શિયાળ, જંગલી ભૂંડ જેવા સસ્તન પ્રાણીઓની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓની હાજરી જોવા મળે છે. આવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી શેવાળ, જીવાતો, નાની માછલીઓ વગેરે પક્ષીઓ માટેનો ખૂબ મહત્વનો ખોરાક છે. આ ઉપરાંત ચેર વિસ્તારોમાં મડસ્કીપર, કરચલા પણ જોવા મળે છે. સમૃદ્ધ ચેર વિસ્તારોમાં માછલીઓનું પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોવાથી માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન છે.
Advertisement
Tags :
Advertisement

.