કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો CM Bhupendra Patel દ્વારા શુભારંભ કરાયો
સુજલામ સુફલામ જળ અભિયાનથી 7 વર્ષમાં,
- 1 લાખ 7 હજારથી વધુ જળસંચયના કામો થયા
- જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 19 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો
- 199.60 લાખ માનવ દિન રોજગારી ઊભી થઈ
- ગુજરાતના આ મહાઅભિયાનને મળ્યા છે 2 સ્કોચ એવોર્ડ
મહેસાણાઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેચ ધ રેઈન આહવાન અંતર્ગત કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 તા. 4 એપ્રિલથી તા. 31 મે 2025 સુધી હાથ ધરાશે.
સરકારી વિભાગો અને લોકભાગીદારી
કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 માટે રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારી દ્વારા જળસંચયના કામો હાથ ધરશે. જેમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમો-જળાશયોનું ડીસીલ્ટીંગ, ડેમેજ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળાની સફાઇ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
એક પેડ મા કે નામ અભિયાનનો અનુરોધ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પાણીના ટીપે ટીપાંનો સંચય અને સંગ્રહ કરવાનો અનુરોધ કરવા ઉપરાંત પર્યાવરણ જાળવણી માટે ગ્લોબલ વોર્મિંગના પડકારોને નાથવા ગ્રીન કવર વધારવા એક પેડ મા કે નામ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો. તેમણે
કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0થી તળાવ, ચેકડેમ ઊંડા કરવા અને નદીઓની સાફ-સફાઈથી વધુને વધુ પાણીનો સંગ્રહ કરીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડાપ્રધાન મોદીનો કેચ ધ રેઈન અભિગમ ઉપકારક નિવડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ પણ વાંચોઃ Heat Wave Forecast : આગામી 6 દિવસ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર
2 સ્કોચ એવોર્ડ મળ્યા
સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. આ અભિયાનને 2020માં પ્લેટિનમ તથા 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
મહાનુભાવો ઉપસ્થિત
કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અભિયાનના રાજ્યવ્યાપી અભિયાનના શુભારંભે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ હરી પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, નર્મદા-જળ સંપત્તિ અને પાણી પુરવઠા સચિવ પી.સી. વ્યાસ અને જળ સંપત્તિ વિભાગના તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.