DAHOD : એકસાથે એક જ પરિવારના છ સભ્યોને અગ્નિદાહ અપાતા આખું ગામ હિબકે ચડ્યું
અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ
મૂળ ગરબાડા તાલુકાના ઝારીબુજર્ગ ગામનો શ્રમિક પરિવાર રાજકોટ જિલ્લામાં મજૂરી કામ અર્થે ગયેલ હતો. પારિવારિક કામ અર્થે રાજકોટ થી ગરબાડા આવ્યા બાદ પરિવારના સભ્યો ગરબાડા થી પોતાના ઘરે ઝરીબુજર્ગ ગામે જવા નીકળ્યો હતો પરંતુ ગરબાડાના પાટીયાઝોલ નજીક મધ્યપ્રદેશ તરફ થી આવતા ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર શ્રમિક પરિવારના સાત વર્ષના બાળક અને તેના માતા પિતા સહિત તમામ એક જ પરિવાર ના છ સભ્યોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું કરૂણ મોત નીપજ્યું હતું.
એક જ પરિવારના 6 સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નીકળી
આવા દુ:ખદ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગરબાડા પોલીસે સમગ્ર બાબત અંગે ગુનો નોધી તમામ મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે ઝરીબુઝર્ગ ગામમાં એક સાથે એક જ પરિવાર ના છ મૃતદેહની અંતિમયાત્રા નીકળી ત્યારે સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું. આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. એક જ ચિતા ઉપર તમામ છ મૃતદેહને અગ્નિદાહ અપાયો ત્યારે હાજર સૌ કોઈ પોતાના આંસુ રોકી નહોતા શક્યા. આમ ભારે ગમગીની વચ્ચે અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો -- RAJKOT : શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રી પહેલા આયોજકો સાથે બેઠક યોજાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે