દાંતીવાડા સરદાર કૃષિનગરમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ યોજાયો
સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી "નમો ડ્રોન દીદી યોજના" અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા.
નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓને લાભ
વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપ વધારવા માટેના આ કાર્યક્રમમાં ગુજરાત GNFC,PPL,IFFCO,GSFC તથા મહારાષ્ટ્ર IFFCO,RCF ની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 "ડ્રોન દીદી" એ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો આ ઐતિહાસિક કાર્યક્રમ
દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે સ્વ-સહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો આ ઐતિહાસિક કાર્યક્રમ છે. આજે દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. કોઈ પણ દેશ કે સમાજ એ નારીશક્તિ થકી જ આગળ વધી શકે છે. જો મહિલાઓને સહારો આપવામાં આવે તો આ જ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે. બેટી બચાવો યોજના, ગર્ભવતી મહિલા પોષણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, આયુષ્યમાન યોજના, જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશકિતકરણ માટે ખૂબ મોટું કામ કર્યું
બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશકિતકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. આધુનિક ટેકનોલોજીયુક્ત ડ્રોનની મદદથી ડ્રોન દીદી - દિકરીઓ ખેડૂતોને કૃષિક્ષેત્રે ખૂબ મદદરૂપ થશે. નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી, પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈ શકીશ. સાથે સાથે વડાપ્રધાન નો આભાર સાથે જણાવ્યું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોના હાથમાં રિમોટ આપ્યું છે, જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકી છીએ.
અહેવાલ - સચિન શેખલીયા
આ પણ વાંચો : VADODARA : માથાભારેએ પોલીસને કહ્યું, “પીસીઆર પર પથ્થર ફેંકી આગળ જવા નહિ દઇએ”