Gir Somnath : તાલાલાના નિવૃત વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી આપઘાત કરી લેતા ચકચાર
અહેવાલ--- અર્જુન વાળા, ગીર સોમનાથ
તાલાલાના નિવૃત વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામના વતની અને હાલ તાલાલા ગીર રહેતા નિવૃત્ત ફોરેસ્ટર અબ્દુલ હમીદ ઉમરભાઈ બ્લોચ ઉ.વ.૬૮ બુધવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર આંબળાશ ગીર ગામે જઈ તેમના જુના મકાનમાં પોતાની લાઈસન્સ વાળી બંદુકમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ બનાવ ની જાણ થતા પોલીસ અધિકારીઓએ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક અબ્દુલ હમીદે લખેલી એક સ્યુસાઇડ નોટ અને હિસાબની ચિઠ્ઠી મળી આવી હતી. જેને લઈ મૃતકના પરીવારજનોના નિવેદનો લઈ તપાસ આગળ વધારી હતી.
વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના ચાર શખ્સ વિરૂધ્ધ તાલાલા પોલીસમાં ફરીયાદ
આ મામલે મૃતકની પત્ની રોશનબેન બ્લોચે વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના ચાર શખ્સ વિરૂધ્ધ તાલાલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવેલ કે, મારા પતિ અબ્દુલભાઈ બ્લોચે માલજીંજવા ગામના નારણભાઇ ગોવીંદભાઇ સોલંકી તથા રમેશભાઇ ગોવીંદભાઇ સોલંકી પાસે થી રૂ.4 લાખ વ્યાજે લીધેલ હતા જેની સામે વ્યાજ સહીત રૂ.13 લાખની રકમ ચુકવી દીધેલ હોવા છતાં વધુ ચક્રવૃધ્ધી વ્યાજની માંગણી કરી અમારૂ મકાન નારણભાઈ એ બળજબરીથી તેના દિકરા ગોપાલના નામે કરાવી લીધું છે અને તેમજ મારા પુત્ર અફજલની બે બુલેટ મોટર સાયકલ પણ તેઓએ રાખી લીધી છે. આટલું લઈ લીધા પછી પણ બંન્ને વ્યાજખોરો રૂબરૂ તથા ફોનમા વધુ રકમની અવાર નવાર ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી મારા પતિ માનસીક ટેન્શનમાં રહેતા હતા.
વેવાઇ પક્ષે પણ ત્રાસ આપ્યો
વધુમાં તેના પુત્ર યકીનના લગ્ન બાદ તેની પત્ની ત્રણેક માસ સાથે રહ્યા બાદ બંન્ને રાજકોટ રહેવા ગયા હતા. જ્યાં બંન્ને વચ્ચે ઝગડો થતા તેમની પુત્રવધુ આફરીનને તેના બાપુજી ફીરોજભાઇ બ્લોચ, માતા રૂકશાનાબેન, મોટાબાપુજી અબ્બાસભાઇ બ્લોચ તથા ફઇ રૂકશાનાબેન બ્લોચ કરીયાવરનો સામાન સાથે પોતાના ઘરે લઇ ગયેલા હતા અને આજ દિન સુધી અમારી પૌત્રી અનાયાને પણ અમોને કોઇને મળવા દેતા ન હતા. આ લોકોના માનસીક ત્રાસના કારણે મારા પતિ ત્રાસમાં રહેતા હતા. ઉપરોકત બંન્ને કારણોસર મારા પતિ અબ્દુલભાઈ બ્લોચે આપઘાત કરી લીધેલ છે.
પોલીસે ગુન નોંધી તપાસ આદરી
આ વિગતોના આધારે તાલાલા પોલીસે માલજીંજવાના નારણ ગોવીંદ સોલંકી અને રમેશ ગોવીંદ સોલંકી તથા વેવાઈ પક્ષના ફિરોઝભાઈ, રૂકશાનાબેન, અબ્બાસભાઈ ત્રણેય રહે.ભાણવડ તથા રૂકશાનાબેન બસીરભાઈ રહે.તાલાલા વાળા સામે વ્યાજખોરી ની કલમ 40, 42(d), તેમજ IPC 306, 384, 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---MILK MAN OF INDIA : ઓપરેશન ફ્લડ કાર્યક્રમ..! ડો.વર્ગિસ કુરિયને દેશને આપેલી મોટી ભેટ