દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે પરિસંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળની બહેનો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન બંજર અને બિન ઉપજાઉ બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ.ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એમ જણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.
રાજ્યપાલમાં કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ,કલેકટર વરુણકુમાર બરનવાલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.એમ.ચૌહાણ, સંશોધન નિયામક સી.એમ.મુરલીધરન, આત્મા ડિરેક્ટર પી.એસ.રબારી, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એમ.પ્રજાપતિ, આત્મા પ્રોજેકટ જિલ્લા ડિરેક્ટર જીંદાલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા
આ પણ વાંચો -- “PM નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વમાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું” – પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ