અંબાજીમાં પોષી પૂનમ માટે 2100 કિલો સુખડીનો પ્રસાદ કરાયો તૈયાર
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં ભાદરવી મહાકુંભ, નવરાત્રી , દીવાળી પર્વ અને વેકેશનમાં લાખો કરોડો માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે સૌથી મોટો પર્વ અંબાજી ખાતે પોષ મહિનાની પૂર્ણિમાએ પણ યોજાતો હોય છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામા આવ્યુ છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી પોષી પૂનમનો પર્વ ધામધૂમથી ઉજવવામા આવે છે.પુનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ અંબિકા વિશ્રામગૃહ ખાતે તૈયાર થઈ ગયો છે.આ મહા પ્રસાદ પૂનમે શોભાયાત્રા દરમિયાન ભક્તોને અપાશે. આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે અને શાકમ્બરી પૂનમ પણ કહે છે.
કેમકે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા. આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે. જેનાં દર્શનનો મહિમા છે. વર્ષ દરમિયાનની પોષ મહિનાની ગુપ્ત નવરાત્રિએ પણ આઠમથી પૂનમ સુધી મા અંબેની આરાધના કરવામાં આવે છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં 24 ની સાંજે અને 25 ની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં મહા શક્તિયજ્ઞ પણ યોજાશે.
અંબાજી ખાતેના મોટા મોટા કાર્યક્રમો શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી ઉજવાય છે. ધાર્મીક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને 25 જાન્યુઆરીના રોજ સવારે અંબાજી મંદિરના શક્તિદ્વાર થી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ દિવસે અંબાજી મંદિરમાં ભક્તો કેક, ચોકલેટ અને ગોળીનું વિતરણ કરશે.
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો -- Gir Somnath : રસ્તા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા બાળકો