World Teacher's Day : પાલનપુરના કાણોદરની મહિલા શિક્ષકને જિલ્લાના બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો
અહેવાલ -સચીન શેખલીયા - બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાની કાણોદર ગામની દીકરી પોલરા પિનહાજને 2002 માં શિક્ષણ યાત્રામાં નીકળવાનો એક સુવર્ણ અવસર મળ્યો. સૌ પ્રથમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેસડા(ગો) પ્રા.શાળામાં નાનકડા ગામથી તેમની આ સફરની શરૂઆત થઈ. શિક્ષક તરીકેના આ વ્યવસાયને ખૂબ જ હૃદયપૂર્વક સ્વીકાર્યો, બાળકો પ્રત્યેની ખૂબ જ આત્મીયતા સાથે શાળામાં 14 વર્ષ સુધી સુઇગામની શાળામાં ફરજ બજાવ્યા બાદ 2015 માં વડગામ ના ચાંગા પે કેન્દ્ર શાળા તા. વડગામમાં ધોરણ 6 થી 8 માં શિક્ષિકા તરીકે બદલી થઈ. બાળકો માટે ઘણું બધું કરી છૂટવાની ઉત્કૃષ્ટ ભાવનાને લીધે પીનહાઝ પોલરાએ અનોખી આર્ક સોશિયલ સાયન્સ પ્રયોગશાળા શરૂ કરી,જેના ખૂબ જ સારા પરિણામ આવ્યા અને તેઓને આજે તેમની બેસ્ટ ટીચિંગ મેથડ માટે જિલ્લાની શ્રેષ્ઠ શિક્ષિકાનું બહુમાન મળ્યું છે.આ અંગે પીનહાજબેને જણાવ્યું હતું કે,મને ગર્વ છે કે હું મારી માતૃભૂમિને કર્મભૂમિ બનાવી શકી છું. ચાંગા શાળા પરિવાર અને ગામ લોકોના સહકારથી મને મારા સ્વપ્નને સાકાર કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો તેથી હું તેમની પણ આભારી છું,
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામની વતની પીનહાઝ પોલરા વડગામની ચાંગા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.શાળાના બાળકોનું અભ્યાસ સુધરે,તેઓ સમાજમાં માન,મોભાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે પીનહાઝબેને પોતાના સાંસારિક જીવનમાં આગળ વધવાને બદલે શાળાના બાળકો પાછળ જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.તેઓએ 2020 બનાવેલ અનોખી સોશિયલ સાયન્સ પ્રયોગશાળા પાછળ તમામ ખર્ચ તેઓએ જાતે જ કર્યો છે. દર વર્ષે તેમના ખિસ્સાના એક લાખ રૂપિયા જેટલો ખર્ચ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ખર્ચ કરે છે. એટલું જ નહીં દર વર્ષે શાળાના બાળકો માટે જાતે જ તિથિ ભોજન બનાવી બાળકો પ્રત્યે માઁ જેવી મમતા દર્શાવે છે.આ બાબતે શિક્ષિકા પીનહાઝબેન પોલરાએ જણાવ્યું હતું કે, આ બાળકો જ મારું જીવન છે,એમા ઉજ્જવળ ભવિષ્ય અને માતૃભૂમિની સેવા માટે મેં મારું જીવન સમર્પિત કર્યું છે.
જિલ્લા પારિતોષિક એવોર્ડ કઈ રીતે અપાય છે ?
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે દરેક જિલ્લાઓમાં શિક્ષકોને બે કેટેગરીમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ અપાય છે,જેમાં એક કેટેગરીમાં વહીવટી કુશળતા અને બીજી કેટેગરીમાં શિક્ષકોની એકેડેમિક યોગ્યતાને ધ્યાને રાખી પસંદગી કરાય છે.આ જિલ્લા એવોર્ડ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પાસેથી તેમની કામગીરીની ફાઇલ સાથેની અરજીઓ મંગાવાય છે, ત્યારબાદ આવેલી અરજીઓ સંદર્ભે જિલ્લા શિક્ષણ વિભાગ બે તબક્કામાં પસંદગી પ્રક્રિયા હાથ ધરે છે, પ્રથમ તબક્કામાં શાળાની મુલાકાત લઈ શિક્ષકોએ કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી પસંદ કરાયેલ શિક્ષકોના સાત સભ્યોની એક પેનલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવાય છે. આ ઇન્ટરવ્યૂ બાદ એક વહીવટી વિષયમાં અને બીજા એકેડેમીક વિષયમાં એમ બે શિક્ષકોની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાય છે. જેમાં એકેડેમિક ફિલ્ડ માં પીનહાઝ પોલરાની પસંદગી થતાં તેઓને 5 મી સપ્ટેમ્બર ને શિક્ષક દીને પાલનપુર ખાતે જિલ્લાના બેસ્ટ ટીચરનો એવોર્ડ અપાશે...
આ સોશિયલ સાયન્સ પ્રયોગશાળાથી વિદ્યાર્થીઓના અભ્યાસનું સ્તર સુધર્યું..
પીનહાઝ પોલરાએ પોતાના ટીચિંગ અનુભવથી સમજ્યું કે બાળકોને સામાજિક વિજ્ઞાન વિષય બોરિંગ લાગે છે, તેથી તેમણે પોતાના સ્વખર્ચે ત્રણ વર્ષ અગાઉ શાળામાં જ એક સોશિયલ સાયન્સ વિષયની પ્રયોગશાળા બનાવી,જેમાં ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના આખા સિલેબસને ગેમ્સ તેમજ ચાર્ટ માં વિભાજીત કરી દ્રશ્યો દ્વારા રમત રમતમાં આખો સિલેબસ શીખવાડવામાં આવે છે. જેને લીધે આજે કેટલાક બાળકો 80 માંથી 80 માર્ક્સ પણ લાવતા થયા છે, તો બાળકોને બોરિંગ લાગતા વિષય પ્રત્યે પણ રુચિ વધવા લાગી છે,એટલું જ નહીં બાળકોનો ગુરુજનો પ્રત્યેનો આદરભાવ પણ વધતા શાળાનું શિક્ષણનું સ્તર ઓટોમેટિક ઊંચે આવવા લાગ્યું છે..
આ પણ વાંચો -વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન