VADODARA : 15 દિવસથી ખાડા ખોદતા તંત્રને લીકેજ મળતું નથી
VADODARA : વડોદરામાં મેયર (MAYOR - VADODARA) ના વોર્ડમાં પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 15 દિવસથી પાણીની લાઇનમાંં ગટરનું પાણી મિશ્રિત થવાનું લીકેજ મળતું નથી. જેને લઇને હવે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ટેન્કર મોકલવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, સ્થાનિકો દ્વારા ટેન્કર નહિ મળ્યા અથવા તો જરૂર કરતા ઓછું પાણી મળ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કોઇ નક્કર સફળતા મળી નથી
સ્માર્ટ સિટી વડોદરાનું તંત્ર કેટલું સ્માર્ટ છે તેનો અંદાજો લગાડવા માટે પુરતી એક ઘટના સામે આવી છે. વડોદરાના પ્રથમ નાગરિક મેયર જે વોર્ડમાંથી ચૂંટાઇને આવ્યા છે, તેવા વોર્ડ નં - 4 માં પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થવાનું લીકેજ શોધવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજી સુધી કોઇ નક્કર સફળતા મળી નથી. એક પછી એક લીકેજ સામે આવી રહ્યા છે. અને તેનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું કોર્પોરેટર જણાવી રહ્યા છે. હવે આ મામલે કેટલા દિવસમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.
સતત તપાસ ચાલી રહી છે
વહીવટી વોર્ડ નં - 4 ના ભાજપ કાઉન્સિલર અજીત દધીચ જણાવે છે કે, 15 સોસાયટીઓમાં મિશ્રિત પાણી આવી રહ્યું છે. કામગીરી 15 દિવસથી ચાલી રહી છે. ફોલ્ટ મળતા જાય છે, તેના પર કામ થઇ રહ્યું છે. અધિકારીઓની 10 ટીમો લાગી છે. જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે, તેને રીપેર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આ પ્રથમ કામગીરી છે, જેમાં ફોલ્ટ મળતા જાય છે, અને તેની કામગીરી થઇ રહી છે. એક ફોલ્ટ મળ્યા બાદથી કામગીરી બંધ કરવામાં આવી નથી. સતત તપાસ ચાલી રહી છે, બે દિવસ સુધી આ કામગીરી ચાલી શકે છે. ભવિષ્યમાં મિશ્રિત પાણી ન આવે તે માટે સારુ પગલું લેવામાં આવ્યું છે. જે સોસાયટીમાં પાણી મિશ્રિત આવે છે, ત્યાં ટેન્કર મોકલવામાં આવ્યા હતા. પાણીની જ્યા તકલીફ જણાશે ત્યાં ટેન્કર મોકલીશું. સામે ચોમાસુ આવી રહ્યું છે. આ તકલીફ ચોમાસા પહેલા ઉકેલાય તેવો પ્રયાસ છે.
જગના પૈસા ચુકવવા પડે છે
સ્થાનિક સંજય પટેલ જણાવે છે કે, પાણીની 20 દિવસથી સમસ્યા છે. ગટરનું ગંધાતુ પાણી આવી રહ્યું છે. અઠવાડિયાથી ખોદ ખોદ કરે છે. પ્રોબ્લેમ સોલ્વ નથી થઇ રહ્યો. કાલે બે ટેન્કર મોકલી, તેમાંથી મજુરો પણ લઇ ગયા. આ મેયર પિંકીબેનનો વોર્ડ છે. કોઇ કામ થતું નથી. ખાવાનું-પીવાનું કેવી રીતે, સામે પાણીના જગના પૈસા ચુકવવા પડે છે. ત્રણ સોસાયટીના 200 જેટલા મકાનોમાં આ સમસ્યા નડી રહી છે.
ફોલ્ટ શોધી શકાયો નથી
સ્થાનિક તુષારભાઇ જણાવે છે કે, પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી, ઓમકાર સોસાયટી અને નારાયણ સોસાયટીમાં દુર્ગંધ મારતું કાળુ પાણી આવે છે. 15 દિવસથી ફોલ્ટ શોધી શકાયો નથી. તપાસ કરી રહ્યા છે, પણ કોઇ ફોલ્ટ મળ્યો નથી. પાણીનું ટેન્કર નથી આવ્યું
આ પણ વાંચો -- VADODARA : ટેન્કર અકસ્માતમાં ચાલકે સીટ પર દમ તોડ્યો