VADODARA : મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત બાદ પોલીસ દોડતી થઇ
VADODARA : વડોદરા (VADODARA) માં ગત મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયા બાદ સ્થિતી વણસી હતી. જે બાદ બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થતા ટોળું એકત્ર થયું હતું. જેને લઇને મોડી રાત્રે ડીસીપી સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. મોડી રાત્રે બંને વાહન ચાલકોની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તે માટે પોલીસ કાર્યરત છે. હાલ લોકસભાની ચૂંટણીની જાહેરાત ટુંક જ સમયમાં થવાની હોવાથી શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાય તે માટે તાજેતરમાં બીએસએફની ટુકડી દ્વારા પણ ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેવામાં ગતરાત્રે શહેરના કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર વચ્ચેથી યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીરલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોતજોતામાં મોડી રાત્રે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસને જાણ થતા જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સ્થિતી ગણતરીની સમયમાં જ થાળે પાડી હતી. અને બંને વાહન ચાલકોની પોલીસ મથક લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓની અટકાયત કરવામાં આવી
ડીસીપી પન્ના મોમાયા જણાવે છે કે, કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર ચાલક રાહીલ અને કાર ચાલક રણવીરસિંગ અને મોનું વચ્ચે અકસ્માત થયો હતો, બોલાચાલી થઇ હતી. જે વાતે ઉગ્રસ્વરૂપ ધારણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અટકળોને પોલીસે રદીયો આપ્યો
ઉપરોક્ત મામલે કારમાંથી હથિયાર જેવું કાઢી અન્ય વાહન ચાલકને મારવા અંગેની અટકળોને પોલીસે રદીયો આપ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- ગુજરાત ભાજપના સેનાપતિ સી. આર પાટીલનો આજે 70 મો જન્મદિવસ