VADODARA : જીવલેણ હુમલા મામલે આરોપીઓને નાંદોદથી દબોચતી PCB
VADODARA : ગતરોજ સાંજે 4 વાગ્યાના અરસામાં આશાપૂરી ગાર્ડન, ઓમ રેસીડેન્સી સામે નવાયાર્ડ, ખાતે ફરિયાદીને આરોપી ગણેશ વસાવા ગાળો બોલતો હતો. તે સમયે સાહેદ અને ફરિયાદી સન્ની સિંગ અને જીગર રાજપુત પણ હતા. જે અંગે તેને પુછયું, કેમ ગાળો આપે છે ?. બાદમાં ગણેશ વસાવા, રાહુલ પાટીલ, અશોક માયાવંશી, અને હિરેન સોલંકી ઉશ્કેરાઇ ગયા હતા. અને અગાઉથી માર મારવાના ઇરાદે સજ્જ થઇને આવ્યા હતા. બાદમાં ગણેશ વસાવાએ ફરિયાદી પર તલવાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેને માથા, પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેવામાં અશોક માયાવંશીએ તેના હાથમાં રાખેલું ધારીયુ માર્યું હતું. તેનાથી બચવા માટે ફરિયાદીએ હાથ આડો કરી દીધો હતો. જેમાં હાથમાં ધારીયુ વાગી ગયું હતું.
તલવાર વડે હુમલો
આ મામલે સાહેદ સન્નીસીંગ દિલીપસીંગ પર રાહુલ પાટીલે હથોડી વડે હુમલો કર્યો હતો. તેમજ ગણેશ વસાવાએ તલવાર વડે હુમલો કર્યો હતો. જેનાથી બચવા માટે હાથ આડો કરી દેતા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં હિરેન સોલંકીએ હાથમાં રાખેલું ચપ્પુ જીગર રાજપુતને હાથના ભાગે માર્યું હતું. આ ઘટના અંગેનો ગુનો ફતેગંજ પોલીસ મથકમાં નોંધાવવા પામ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ (PCB - VADODARA) દ્વારા ફરાર આરોપીઓને દબોચી લેવા માટે તપાસ શરૂ કરી હતી.
કાયદેસરની કાર્યવાહી
દરમિયાન પીસીબીની ટીમને બાતમી મળી કે, ત્રણ આરોપીઓ નર્મદા જિલ્લાના નાંદોદ પાસે આવેલા રાયપુરા ગામની સીમમાં છુપાયેલા છે. જેના આધારે પીસીબીની ટીમે તમામને શોધી કાઢી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીએ ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઇ પાટીલ (રહે. લાલપુરા, રામેશ્વરની ચાલ, નવાયાર્ડ), અશોકભાઇ મણીભાઇ માયાવંશી (રહે. ગાયત્રીધામ, પીવીઆર રોડ, નવાયાર્ડ) અને હિરેન ઉર્ફે અન્ડી રજનીકાંતભાઇ સોલંકીની અટકાયત કરી છે.
આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઇ પાટીલ સામે 6 ગુના, અશોકભાઇ મણીભાઇ માયાવંશી સામે 10 ગુના અને હિરેન સોલંકી સામે એક ગુનો નોંધાયેલો છે. તમામ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ની BBA ફેકલ્ટી બહાર હોબાળો, પોલીસ ખડકી દેવાઇ