VADODARA : ભાજપનો આંતરિક અસંતોષ આયાતી ઉમેદવારને ફળી શકે છે !
VADODARA : વડોદરા (VADODARA) ભાજપનો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવી ગયો છે. છેલ્લા 10 દિવસથી સાંસદ રંજનબેન ભટ્ટની બદનામી થઇ રહી હતી. તેવામાં આજે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે. હવે પાર્ટી દ્વારા નવા જ ઉમેદવારની જાહેરાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે ભાજપનો અંતરિક અસંતોષ આયાતી ઉમેદવારને ફળે તો નવાઇ નહિ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ટુંકાગાળામાં જ પોસ્ટર વોર શરૂ થઇ ગઇ હતી
વડોદરા લોકસભા અને વારાણસી બેઠક પરથી 2014 માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી લડ્યા હતા. જે બાદ વડાપ્રધાને વારાણસી લોકસભા બેઠક પરની ઉમેદવારી યથાવત રાખી હતી. અને વડોદરામાં તેમની જગ્યાએ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવી હતી. જેમાં તેમની પ્રચંડ મતોથી જીત થઇ હતી. વર્ષ 2019 માં પણ ભાજપે રંજનબેન ભટ્ટને જ ટીકીટ આપી હતી. જેમાં તેમણે મતનો જુનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે લોકસભા 2024 માં પણ રંજનબેનને રીપીટ કરવામાં આવતા પાર્ટીમાં અંદરખાને ભારે અસંતોષની લાગણી જોવા મળી હતી. પ્રથમ તેમના સામે પાર્ટીના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યાએ અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ ટુંકાગાળામાં જ પોસ્ટર વોર શરૂ થઇ ગઇ હતી.
ભાજપનું મોવડી મંડળ સરપ્રાઇઝ આપી શકે
રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા પોસ્ટર વોરમાં મુખ્યસુત્રધાર તરીકે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષીનું નામ સામે આવી રહ્યું છે. વડોદરા લોકસભા સેફ સીટ હોવાના કારણે કોઇ પણ ઉમેદવાર આસાનીથી જીત મેળવી શકે છે. જેથી તમામ ઇચ્છુકો પોતે ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચવાના સ્વપ્ન જૂએ તેવી સ્થિતી છે. આ સ્થિતી વચ્ચે ભાજપનું મોવડી મંડળ સરપ્રાઇઝ આપી શકે તેવી પ્રબળ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આયાતી ઉમેદવારને સીધો ફાયદો મળી શકે છે
આ વચ્ચે સુત્રો જણાવી રહ્યા છે કે, વડોદરા ભાજપના આંતરિક વિખવાદને મોડવી મંડળે પારખી જતા સરપ્રાઇઝ આપી શકે છે. તેવામાં આયાતી ઉમેદવારને સીધો ફાયદો મળી શકે છે. આયાતી ઉમેદવાર પણ આવે તો વડોદરા બેઠક પરથી જીતવું આસાન છે. તો બીજી તરફ સ્થાનિક મહિલા ઉમેદવારોને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેન નથી. હવે આ મામલે આગળ કોનું નામ જાહેર થાય છે તેની લાખો શહેરવાસીઓ રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો --VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”