Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વલસાડ અને ગીર બાદ હવે વડોદરાની કેસર કેરી છવાશે, જાણો શું છે ખાસ

VADODARA : કેરી એટલે ફળોનો રાજા.. એમાં પણ કેસર કેરીની તો વાત જ ના થાય ! વલસાડની કેસર કેરી, તાલાલા ગીરની કેસર કેરી, રત્નાગિરીની હાફુસ કેરી વિશે તો બધાને ખબર છે. પરંતુ શું વડોદરા સહિત સૌ ગુજરાતીઓને ‘વડોદરાની કેસર’ બ્રાન્ડની...
04:45 PM Jun 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : કેરી એટલે ફળોનો રાજા.. એમાં પણ કેસર કેરીની તો વાત જ ના થાય ! વલસાડની કેસર કેરી, તાલાલા ગીરની કેસર કેરી, રત્નાગિરીની હાફુસ કેરી વિશે તો બધાને ખબર છે. પરંતુ શું વડોદરા સહિત સૌ ગુજરાતીઓને ‘વડોદરાની કેસર’ બ્રાન્ડની ખબર છે ?

ગૌ શાળાના હિતમાં વેચાણ

વડોદરા શહેર નજીક આવેલા નાનકડા રાભીપુર ગામ તરફ તમે આગળ વધો એટલે વડોદરાની કેસર કેરીની સોડમ તમને તેની તરફ ખેંચી જશે. આ સુગંધિત જગ્યા એટલે ભદ્ર પરિવારના યુગલ દ્વારા રખેવાળી કરાતી ગૌ શાળા. આ ગૌ શાળાના રખેવાળ પતિ-પત્ની શ્રુતિબેન અને મનોજભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી કેસર કેરીનું ઉત્પાદન કરી ગૌ શાળાના હિતમાં વેચાણ કરે છે.

જાતે જ આંબાવાડીનું રખોપું રાખવાનું નક્કી કર્યું

રાજ્યમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ નફો આપનારી સાબિત થઈ છે. કૃષિના બેકગ્રાઉન્ડમાંથી ના આવતા હોવા છતાં આ યુગલની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની યાત્રા પણ રસપ્રદ છે. કોરોનાકાળમાં પોતાની આંબાવાડીની રખેવાળી માટે કોઈ માણસ ન મળતા આ યુગલે જાતે જ આંબાવાડીનું રખોપું રાખવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેઓએ આદર્યો માનવજાત અને ધરતીમાતાની સેવા માટેનો મહાયજ્ઞ. જે તેમના આસપાસના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે.

પ્રાકૃતિક કૃષિ તરફ વળવા શ્રેષ્ઠ ઉદાહરણ

આજના યુગમાં કેટલાક ખેડૂતો ઓછા સમયે વધુ પાક અને નફો રળવાની લ્હાયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, જે માનવજાત અને પર્યાવરણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ત્યારે આ યુગલ ખેડૂતોને સમજાવીને પોતાની આંબાવાડીની મુલાકાત કરાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

કેરીને ઝાડ પર તપાવવી જરૂરી

મજાની વાત એ છે કે, ‘વડોદરાની કેસર’ને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવી શકાય તે માટે તેમણે કૃષિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, નક્ષત્ર પ્રમાણે કેરી પર થતી અસરોની ચકાસણી પણ કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વડોદરાની કેસર કેરી ખાવાનો ઉત્તમ સમય સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશે ત્યારથી આર્દ્રામાં પ્રવેશ કરે ત્યાં સુધીનો એટલે કે એક મહિનાનો સમય શ્રેષ્ઠ હોય છે. રોહિણી નક્ષત્રના તાપમાં આ કેરીને ઝાડ પર તપાવવી જરૂરી છે. આ સમયે કેરીનો કલર થોડો પીળાશ પડતો થાય છે અને પીળી છાંટ જોવા મળે છે. કેરી પર છારી બાઝેલી હોય છે, આ લક્ષણો મળ્યા બાદ કેરી પર થતી જીવાત તથા ફૂગને દૂર કરવા હળદરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, કોઈપણ કિસ્સામાં કેમિકલ કે અન્ય રસાયણનો ઉપયોગ ન થતા આ કેરી ઉત્તમ અને કુદરતી રીતે પાકે છે.

અંગત સ્વાર્થ માટે નથી વાપરતા

અહીં ખાસ એ વાત યાદ આવે કે, વડોદરાની કેસર બ્રાન્ડથી વેચાતી અહીંની આંબાવાડીની કેરીમાંથી થતી આવક તેઓ પોતાના માટે કે અન્ય અંગત સ્વાર્થ માટે નથી વાપરતા. આ આવક તેઓ ગૌ શાળાના નિભાવ અને ગૌ સંવર્ધન માટે વાપરે છે.

નક્ષત્ર પ્રમાણે ખાવાથી સ્વસ્થપ્રદ

વડોદરાના આ યુગલના સંશોધનને પરિણામે વડોદરાની કેસર કેરીનો સ્વાદ અન્ય કેરીની તુલનાએ ઘણો મીઠો અને સ્વાદિષ્ટ થઈ શક્યો છે. વળી, આ કેરી નક્ષત્ર પ્રમાણે ખાવાથી સ્વસ્થપ્રદ પણ છે. નક્ષત્ર પ્રમાણે જતન કરેલી કેરી સંપૂર્ણ અને કુદરતી રીતે પાકે છે , જેથી સ્વાદમાં સુગંધ પણ ભળે છે. હાલમાં મનોજભાઈ પાસે ત્રણ આંબાવાડિયા છે અને આ કેરી વડોદરા શહેર સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, બેંગલોર તેમજ વિદેશમાં પણ તેનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : પંડ્યા બ્રિજ જલ્દી શરૂ થશે, ડે. મેયરે કામગીરી નિહાળી

Tags :
amongCityFAMEgainingkesarMangoofOutPeoplereachVadodara
Next Article