VADODARA : 1 હજાર સ્ક્વેર ફૂટ લોખંડની જાળી રાતોરાત ગાયબ
VADODARA : વડોદરા પાસે રાતોરાત 1 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંતની જાણી ગાયબ થઇ હોવાનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ઉપરોક્ત મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
સાવલી પોલીસ મથકમાં હાર્દિક હરીશભાઇ પટેલ (ઉં. 30) (રહે. અટલાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દિપક ફાઉન્ડેશનમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે કામ કરે છે. ફેબ્રુઆરી - 2024 માં પ્રોજેક્ટ વસુંધરા અંતર્ગત કમલપુરા ગામની સીમમાં આવેલા સ્મશાન પાસે તથા તુલસીપુરા ગામની સીમમાં આવેલા અમૃત સરોવરની બાજુમાં તેમના ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રમશ 528 સ્ક્વેર ફૂટમાં 300 વૃક્ષો અને 584 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં 285 વૃક્ષો વાવ્યા હતા. બંનેની દેખરેખ માટે 1 હજાર ઉપરાંત સ્ક્વેર ફૂટની લોખંડની જાળી મુકવામાં આવી હતી. આ જાળીને પાસેના જ ફેન્સીંગના થાંભલા જોડે બાંધીને મુકવામાં આવી હતી.
લોખંડની જાળી ગાયબ
માર્ચ - 2024 માં બપોરે સાઇટ વિઝીટ કરતા ધ્યાને આવ્યું કે, કમલપુરા ગામે વૃક્ષારોપણવાળી જગ્યાએ લોખંડની જાળી નથી. જે બાદ તુલસીપુરા જઇને જોતા ત્યાં પણ આવી જ સ્થિતી હતી. આખરે બંને જગ્યાએ મળી 1 હજાર ઉપરાંત સ્ક્વેર ફૂટ લોખંડની જાળી ગાયબ થયાનું ધ્યાને આવતા ફાઉન્ડેશનની ઓફિસે જાણ કરવામાં આવી હતી. જેની કિંમત રૂ. 35 હજાર આંકવામાં આવી રહી છે. જેને અનુસંધાને સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
છોડના ભવિષ્ય પર પણ જોખમ
અત્રે નોંધનીય છે કે, વૃક્ષ ફરતે લોખંડની જાણી તેના રક્ષણ માટે લગાડવામાં આવે છે. આ લોખંડની જાણી લગાડવાથી તેને પશુઓથી બચાવી શકાય છે. છોડ હોય ત્યાં સુધી ટ્રી ગાર્ડની જરૂર પડે છે. છોડને અમુક સમય થઇ ગયા બાદ તેને જાણીના માળખામાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે. આ કિસ્સામાં તસ્કરો દ્વારા જાળી ચોરી જવાના કારણે હવે છોડના ભવિષ્ય પર પણ જોખમ ઉભુ થયાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો -- VADODARA : રોંગ સાઇડ આવતા ડમ્પરે કચડતા મોત