VADODARA : ધારાસભ્યની મહેનત રંગ લાવતા લોકોની સમસ્યા "ભૂતકાળ" બની
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં પીએમ આવાસ (PM AWAS YOJNA) યોજનાના ફ્લેટ્સ લાભાર્થીઓને ઘર તો મળી ગયું, પરંતુ લાઇફ ટાઇઆમ મેઇન્ટેનન્સ, રેરા પેનલ્ટી અને અશાંતધારાનું સર્ટિફીકેટ મેળવવા માટે પ્રતિવ્યક્તિ મોટો ખર્ચ ભોગવવો પડે તેમ હતો. ખર્ચનું ભારણ સેંકડો પરિવારો માટે સિરદર્દ બન્યું હતું. આ અંગે હાઉસીંગ બોર્ડના મેમ્બર્સ સાથે અનેક વાટાઘાટો કરતા કોઇ સુખદ સમાધાન આવ્યું ન હતું. આખરે સમગ્ર મામલો ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી પહોંચતા તેમણે સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો છે. જે બાદ સ્થાનિકો દ્વારા મોટી સંખ્યામાં તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
અનેક કારણોસર ખર્ચનું ભારણ આવી પડ્યું
વર્ષ 2022 માં ગોરવામાં પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર મેળવનારા રહીશો પર અનેક કારણોસર ખર્ચનું ભારણ આવી પડ્યું હતું. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી. જેનો ઉકેલ લાવવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ ધારાસભ્ય કેયુર રોકડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આખરે તમામ સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. અને રહેવાસીઓની મુશ્કેલી હવે ભૂતકાળ બની છે.
લડત આપવા માટે એસોશિયેશનની રચના કરી
સમગ્ર ઘટનાક્રમને લઇને સ્થાનિક રહીશ જણાવે છે કે, સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પીએમ આવાસ યોજનાના આવાસ છે. વર્ષ 2016 માં તેના ફોર્મ બહાર પડ્યા હતા. અમે બધા ગોરવા, ગોત્રી, તાંદલજા એમ વિવિધ વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. મકાનો અમને વર્ષ 2022 માં તૈયાર થઇને મળ્યા હતા. તે સમયે હાઉસીંગ બોર્ડ તરફથી નાની-મોટી તકલીફો હતી. તેની સામે લડત આપવા માટે અમે એસોશિયેશનની રચના કરી રજૂઆતો કરવામાં આવી હતી.
રોજે રોજ લાવીને ખાનારા લોકો માટે મુશ્કેલી બની
વધુમાં તેઓ જણાવે છે કે, તે સમયે લાભાર્થીઓ સામે રેરાના નિયમો મુજબ 8 ટકાની પેનલ્ટી લગાડવામાં આવી હતી. રોજે રોજ લાવીને ખાનારા લોકો અને 12 કલાક કામ કરનારાઓ માટે તે મુશ્કેલી બની હતી. જેને લઇ ઘરદીઠ અમારા પર રૂ. 300 થી લઇને રૂ. 63 હજાર પેનલ્ટી પૈસા ભરવાનું ટેન્શન હતું. સાથે જ લોકોને રૂ. 35 હજારનું લાઇફ ટાઇમ મેઇન્ટેનન્સ ભરવાની પણ સમસ્યા હતી.
કોઇ પણ ખર્ચ વગર અશાંતધારાનું સર્ટિફીકેટ મેળવી આપ્યું
તેમણે ઉમેર્યું કે, જે બાદ અમે સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાને આ અંગે રજૂઆત કરી હતી. અશાંતધારાનું સર્ટિફીકેટ લાવવા માટે લાભાર્થીને રૂ. 4500 જેટલો ખર્ચ પ્રતિવ્યક્તિ આવે તેમ હતો. જેને લઇને અમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છેલ્લે ધારાસભ્યની મહેનત રંગ લાવી છે. અને તેમની આગેવાની કોઇ પણ ખર્ચ વગર અશાંતધારાનું સર્ટિફીકેટ મેળવી આપ્યું છે. પેનલ્ટીને લઇને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગની પેનલ્ટી માફ કરી દેવામાં આવી છે. જેનો 1560 આવાસ યોજનાના લાભાર્થીઓને તેમનો લાભ મળ્યો છે.
પેનલ્ટીમાં 70 ટકાનો ઘટાડો
ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવે છે કે, ગોરવા દશામાં તળાવ સામે હાઉસીંગ બોર્ડ, તેમાં સ્વામી વિવેદાનંદ હાઇટ્સ - 3 ના રહીશોની સામુહિક અશાંતધારા માંગ હતી. સરકાર દ્વારા સામુહિક અશાંતધારાની મંજૂરી આપવામાં આવી છે. તેમની ભરવાની પેનલ્ટીમાં 70 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સાથે તમામને નવી ગટર લાઇન અને પાણીની લાઇનની સુવિધાઓ પણ મળનાર છે.
આ પણ વાંચો --VADODARA : નવા બાંધકામમાં બેદરકારીને લઇ ફ્લેટની માટી ધસી પડી, નિર્ભયતા શાખાએ કામગીરી સંભાળી