VADODARA : ભીમનાથ બ્રિજ પાસે આગ, મોડી રાત્રે ફાયર લાશ્કરો દોડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના પટ વિસ્તાર પાસે કચરામાં આગ (MIDNIGHT FIRE) લાગતા મોડી રાત્રે ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાછળથી પસાર થતા નાળા પાસેના કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના અનેક વખત સામે આવી ચુકી છે. પાલિકા અને અન્ય જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય સ્વચ્છતા અને જાળવણી રાખવામાં નહી આવતા આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સુકા કચરામાં આગ
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. પરંતુ તેની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે, તે વાત કોઇ વડોદરાવાસીથી છુપી નથી. વિશ્વામિત્રી નદીને પુનર્જિવીત કરવાની વાત તો દુર જ રહી. નદીના પટ વિસ્તારને કચરાપેટી સમાન બનાવી દેવામાં આવ્યો છે. જ્યાં ખુલ્લો પટ દેખાય ત્યાં ડેબરીઝનો નિકાલ, ઝાડી ઝાંખરા અથવા તો ખુલ્લે આમ કચરો જોવા મળે છે. આટલું જ નહી કેટલીક જગ્યાઓ પર તો નદીનો પટ રીતસર સુકા કચરાના ભરડામાં હોય તેમ જોવા મળે છે. છતાં તે તરફ જોવા વાળું કોઇ નથી. આ પરિસ્થિતીઓ વચ્ચે ગતરાત્રે વડોદરાના જેલરોડથી જેતલપુર બ્રિજને જોડતા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના પટ વિસ્તાર નજીક સુકા કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
કાબુ મેળવવામાં સફળતા
રાત્રીના સમયે આગ બાદ ધુમાડાને પગલે અહિંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બને તેવી સ્થિતીનું એક તબક્કે નિર્માણ થયું હતું. જો કે, આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા. ગણતરીના સમયમાં જ આગને વધુ ફેલાતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. જો કે, આગ લાગવા પાછળનું નક્કર કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી.
આ પણ વાંચો -- VADODARA : ગત સાંજથી વિજળી ગુલ, ગિન્નાયેલા ધારાસભ્યએ કહ્યું, “હદ થઇ ગઇ”