VADODARA : ભંડારામાં પ્રસાદી લેવા ગયેલી મહિલાએ સોનાની ચેઇન ગુમાવી
VADODARA : વડોદરામાં હનુમાન જયંતિ (HANUMAAN JAYANTI) પર્વ પર હનુમાનજીના દર્શન અને ત્યાર બાદ ભંડારામાં પ્રસાદી લેવા ગયેલી મહિલાએ સોનાની ચેઇન ગુમાવી (MISSING GOLD CHAIN) હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મહિલાએ અજાણ્યા શખ્સ સામે બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વૃંદાવન ચાર રસ્તા ખાતે દર્શન કરવા માટે ગયા
શહેરના બાપોદ પોલીસ મથકમાં પ્રવિણાબેન જયંતિભાઇ રોહિત (રહે. શ્રીજી ટાઉનશીપ, ડભોઇ-વાઘોડિયા રોડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 23 એપ્રિલના રોજ તેઓ તેમના પતિ જયંતિભાઇ અને પુત્ર બ્રિજેશ સાથે હનુુમાન જયંતિ નિમિત્તે રાત્રે હનુમાનજીના મંદિરે વૃંદાવન ચાર રસ્તા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જે બાદ તેઓ ત્યાં ભંડારામાં પ્રસાદી લેવા માટે ગયા હતા. દરમિયાન ભીડમાં કોઇ અજાણ્યા ચોર દ્વારા મહિલાના ગળામાં પહેરેલ દોઢ તોલાની સોનાની ચેઇન અને પેન્ડન્ટ ચોરી કરી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમણે બાપોદ પોલીસ મથકમાં ચોરીની ઘટનાને લઇને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બંદોબસ્ત નહિ હોવાથી તસ્કરો ફાવી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને લઇને આખીય શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પાર પડી હતી. પરંતુ હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત અન્ય કાર્યક્રમોમાં ચુસ્ત બંદોબસ્ત નહિ હોવાથી તસ્કરો ફાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડભોઇ વાઘોડિયા રોડ પર રહેતી મહિલાએ દોઢ તોલાની સોનાની ચેઇન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે આ મામલે ફરિયાદ બાદ પોલીસ કેટલા સમયમાં ચોર સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ઓરસંગ નદી કિનારે કપડા ધોતા યુવકને મગર ખેંચી ગયો