Surat : મારી આંખમાં આંસુ નથી દેખાતા,પરંતુ મારું હૃદય રડે છે: CR પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં ચોર્યાસી વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં CR પાટીલે હાજરી આપી હતી. અહીં બોલતા પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીના વખાણ કર્યા હતા. પાંડેસરાના તેરે નામ ચોકડી પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા સીઆર પાટીલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સેના કોઈ પણ પાર્ટીને હરાવવા માટે સક્ષમ છે.
પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ છાતી ગદગદ ફુલી ઉઠે છે. ભાજપના કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતના કારણે ચૂંટણીમાં સારા પરિણામ મળતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લેતા હોય છે. હવે PM મોદીની આગેવાનીવાળી ભાજપ કોઇપણ પાર્ટીને હરાવવા સક્ષમ છે.
સ્નેહમિલનમાં બોલતા પાટીલે કહ્યું કે 156 સીટો જીત્યા બાદ પણ મને થોડો રંજ રહી ગયો છે. આપણને 182 બેઠકોમાં થોડો પનો ટુંકો પડ્યો. તમને મારી આંખોમાં આંસુ નથી દેખાતા પણ મારૂ હ્રદય રડી રહ્યું છે. પાટીલે કહ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપ શિવાય બીજી પાર્ટી ના દેખાવી જોઇએ. હું હોઉે કે ના હોઉ ભાજપ 182 બેઠકો પર વિજયી થાય તેવા આશિર્વાદ આપજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સાથે લઇ ‘સબકા સાથ, સબકા વિકાસ’ ની વિચારધારા સાથે દેશની સેવા કરી રહ્યાં છે.
આ પણ વાંચો -સાબરમતી જેલમાં રહેલા કાચા કામના કેદીએ સમાધાન કરવા ફરિયાદીને કર્યો ફોન.! વાંચો અહેવાલ