Ramotsav : વિવિધ સ્થળે દીપોત્સવ, રામભક્તિના રંગમાં રંગાયા લોકો, જુઓ અદ્ભુત તસવીરો
આજે ગુજરાતભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની (Ramotsav) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વિવિધ સ્થળો પર દીપોત્સવનું આયોજન કરાયું. અમદાવાદ, શામળાજી, મહેસાણા, વિસનગર, નર્મદા, જુનાગઢ અને ભુજ સહિત વિવિધ જગ્યાએ રામભક્તો દ્વારા મહાઆરતી, દીપોત્સવનું આયોજન કરાયું હતું.
ગાંધીનગર
આજે ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યાના ઐતિસાહિક રામ મંદિરમાં બિરાજમાન થયા છે. ત્યારે આ અવસરને દિવાળી જેવા ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંઘ્યા સમયે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગારથી આ અવસરનાં વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત, ગાંધીનગરમાં સેક્ટર-2 માં સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા 1100 દિવડાથી 'જય શ્રી રામ' અને 'હનુમાનજી' મહારાજની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ફટાકડા ફોડીને દીવાળીની જેમ ઉજવણી કરી હતી.
અમદાવાદ
અમદાવાદની વાત કરીએ તો ઘાટલોડિયાની કે.કે. નગર સોસાયટીમાં પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં પ્રભુ શ્રીરામ નવમંદિરમાં પરત ફરતા દિવાળીની જેમ ઉજવણી કરાઈ. સમગ્ર સોસાયટીમાં 1500 જેટલાં દીવળા પ્રગટાવવામાં આવ્યા હતા. સાથે જ સુંદરકાંડ તેમ જ રામલીલાનું પણ આયોજન કરાયું હતું.
શામળાજી
શામળાજીમાં પણ રામભક્તોનો અનોખો રંગ જોવા મળ્યો હતો. અહીં મંદિર પરિસરમાં 1100 દીવડાથી દીપમાળ કરાઈ હતી. આ સાથે મંદિરમાં મહાઆરતી પણ કરાઈ હતી. દીપમાળ અને લાઈટની રોશનીથી મંદિર ઝળહળી ઊઠ્યું હતું. ભક્તોમાં પણ અનેરા ઉત્સાહ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.
મહેસાણા
દેવનગરી અયોધ્યામાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠાને લઈ (Ramotsav) મહેસાણાનું વિસનગર પણ રામ ભક્તિના રંગમાં રંગાયું હતું. અહીં, એસ. કે. યુનિવર્સિટીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે હેઠળ યુનિ.માં 1,51,111 હજાર દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય નેતા અને યુનિ. સ્ટાફ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. દીપ પ્રગટાવીને 'શ્રીરામ' ભગવાનની પ્રતિકૃતિ બનાવાઈ હતી.
રાજપીપળા
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં કાછીયાવાડ વિસ્તારમાં 1000 દીવડા સળગાવી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. દીવડા દ્વારા 'જયશ્રી રામ' લખી આજે આખો વિસ્તાર રામભક્તિમાં લીન થયો હતો. ત્યારે કાછીયાવાડ વિસ્તારના અંબા માતાજી મંદિરે 4000 હજાર દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે આજે રામલલાની ઉજવણી નર્મદા જિલ્લામાં ધામધૂમથી જોવા મળી હતી.
જુનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામલીલા તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. કાર્યક્રમમાં કારસેવકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલ્હીના ખ્યાતનામ કલાકારો દ્વારા બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે રામલીલા તથા પ્રભુ શ્રી રામચંદ્રજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. રામલીલામાં ભગવાન શ્રી રામના જીવનચરિત્રના મહત્ત્વના પ્રસંગો પ્રસ્તૂત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, કમિશનર, મેયર, ધારાસભ્ય, તમામ કોર્પોરેટર તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે (Ramotsav) ભુજના ઐતિહાસિક રામકુંડને શણગારવામાં આવ્યું હતું. લગભગ 4 હજાર દીવડાથી રામકુંડ શણગારવામાં આવ્યું હતું. આ દીપોત્સવ નીહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.
આ પણ વાંચો - SURAT : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહનચાલકોને લાડુ વિતરણ કરીને મનાવ્યો ‘રામોત્સવ’