Himmatnagar News : કોંગ્રેસ નેતા અને બિલ્ડર અશોક પટેલની દાદાગીરી, અનેક નોટિસો છતાં બાંધકામ બંધ ન કરાતા લેખિતમાં ફરિયાદ નોંધાઈ
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની બિનખેતી સર્વે નં. 771 પૈકી પ્લોટ નં. 8, 9 અને 24 માં હિંમતનગર બિલ્ડર અશોક નાથા પટેલે પોતાની મનમાની ચલાવીને સરકારના કાયદાઓને ઘોળીને પી ગયા બાદ બાંધકામ ચાલુ રખાયું છે. જે અંગે કાંકણોલ પંચાયતના સરપંચ દ્વારા અવારનવાર બાંધકામ બંધ કરવા માટે આપેલી નોટિસોની સતત અવગણના કરતા મહિલા સરપંચે તાજેતરમાં હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત કરીને બિલ્ડર દ્વારા થઈ રહેલા બાંધકામને અટકાવવા તથા તેમની વિરૂધ્ધ પગલા ભરવા માંગ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, કાંણોલ પંચાયત હસ્તકના સર્વે નં. 771 પૈકી પ્લોટ નં. 8, 9 અને 24 માં કરાયેલા ગેરાકાયદે બાંધકામ અંગે હિંમતનગરના હેમંતભાઈ પટેલ તથા હાલ અમેરિકા રહેતા અને એડવોકેટ જયંતિભાઈ પટેલે વર્ષ 2020 થી અત્યાર સુધીના સમયગાળામાં બિલ્ડર અશોક પટેલ દ્વારા કરાઈ રહેલા ગેરકાયદે બાંધકામ અંગે તબક્કાવાર પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેકટર સુધી અસંખ્ય રજુઆતો કરીને બિલ્ડર વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે ધારદાર રજુઆતો કરી હતી. છેવટે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધશે તેવા હાલ થયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રહેતા જયંતિભાઈ પટેલે ઈ-મેઈલના માધ્યમથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યાલયમાં કરેલી રજુઆતો બાદ થોડાક મહિના અગાઉ વડાપ્રધાન કાર્યાલયમાંથી જિલ્લા વિકાસ અધિકારી કાર્યવાહી કરવા જણાવાયું હતું.
જોકે તત્કાલીન સમયે જિલ્લા વિકાસ અધિકારી હિંમતનગર તાલુકા પંચાયતના વિકાસ અધિકારીની જાણ કરી હતી. અને છેલ્લે તાલુકા વિકાસ અધિકારીએ વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કાંકણોલ પંચાયતને યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. દરમિયાન દુરસ્તીના મુદ્દે અગાઉ થયેલી સ્થળ તપાસમાં અધિકારીઓએ કેટલેક મુદ્દે ઢાંક પિછોડો કર્યો હોવાની બૂમરાણ મચી હતી અને છેલ્લે આખરે કાંકણોલ ગ્રામ પંચાયતના પૂર્વ, તત્કાલીન તથા વર્તમાન સરપંચે અત્યાર સુધીમાં બિલ્ડર અશોક પટેલને થઈ રહેલા ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે લગભગ છ વખત નોટીસ આપી હતી. તેમ છતાં પૈસાના જોરે અને બજારમાં મારુ કોઈ કશું બગાડવાનું નથી તેવા ખોટા વહેમમાં રહેતા અશોક પટેલ વિરૂધ્ધ હવે કાયદાનો સાણસો ભીંસાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી સમયમાં આ બિલ્ડરને તેમાથી નીકળવા માટે નવ નેજાના પાણી ભેગા કરવા જેવા હાલ થાય તો નવાઈ નહીં.
કાંકણોલ પંચાયત દ્વારા બિલ્ડરને ક્યારે નોટિસો અપાઈ ?
બિલ્ડર અશોક પટેલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી કરાઈ રહેલા ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે કાંકણોલ પંચાયત દ્વારા ગત તા. 18-12-2020, 20- 01-202૩, 1૩-02-202૩, 0૬-04-202૩, 19-0૫-202૩ અને 28-0૬-202૩ના રોજ કાંકણોલના સરપંચ શ્વેતાબેન પટેલ, બિરેન નલીનકુમાર પટેલ દ્વારા નોટિસો અપાઈ હોવા છતાં બાંધકામ ચાલુ રખાયું છે.
અરજદારોની બિલ્ડરને પદાર્થપાઠ ભણાવવાની હિલચાલ
પૈસાના જોરે સ્થાનિક તંત્ર અને સરકારના નિયમોને અવગણીને ગેરકાયદે બાંધકામ કરતા આ બિલ્ડરને પદાર્થપાઠ ભણાવવા માટે હિંમતનગરના બે અરજદારોએ તૈયારીઓને આખરીઓપ આપી કાયદાના નિષ્ણાંતોની સલાહ લેવાનું ચાલુ કરી દીધું છે. જેથી આગામી સમયમાં બિલ્ડર અશોક પટેલ સામે મુશ્કેલીઓનો પહાડ ઉભો થવાની શક્યતા નકારી શકાતી નથી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો : મુશળધાર વરસાદથી વેરાવળ દરિયો બન્યું, NDRF ની ટીમ દ્વારા 100 થી વધુ લોકોના જીવ બચાવાયા, Video