Gujarat Police: અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં ગુન્હો દાખલ ન કરતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ
Gujarat Police: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે IPS અધિકારી, 3 DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
- કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો
- અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ
- પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ
કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો
પૂર્વ કચ્છના બે તત્કાલીન SP જી. બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ Deputy SP વિજય ગઢવી, ધનંજય એસ. વાઘેલા અને આર.ડી. દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) એમ.કે ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત 6 પોલીસ અધિકારીઓએ પ્રેમાનંદ નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તેની ઉપર કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ET)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જયાં આ પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ભુજની CID ક્રાઇમ કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક મહિના પછી ગુન્હાની નોંધ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી પ્રેસ બ્રીફ મુજબ, ગાંધીધામ પાસે મેઘપર બોરીચીમાં આવેલા નવરત્ન ડ્રીમમાં રહેતા પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિએ ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિકો અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હોવાનો એકરાર કર્યો છે. આ ગુન્હો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે કરવામાં આવ્યો હોવાનું પણ CID ક્રાઇમે કબુલ્યું છે.
અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ
વર્ષ 2015 થી શરુ થયેલા આ સમગ્ર મામલા અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ - ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવનાબેન આર.પટેલ સહીત ત્રણ Deputy એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈંજ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું.
પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ
આ સમગ્ર મામલામાં જેટલી ભૂંડી અને ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની છે. છતાં સીઆઇડી ક્રાઇમ (CID Crime Branch) દ્વારા તપાસમાં વિપરીત અસર થશે એવા રૂપાળા બહાના હેઠળ તેમના નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015 થી આ કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશન (Police Station) થી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર DGP ઓફિસ અને ગુજરાત હાઇકોટ (Gujarat High Court) થી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયાં ઘસી નાખ્યા છે. ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી. પરંતુ હવે જયારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવો પડ્યો છે ત્યારે ભુજ CID ક્રાઇમ (CID Crime Branch) ને તેમાં ગંભીરતા દેખાઈ રહી છે.
અહેવાલ કૌશિક છાંયા
આ પણ વાંચો: Rajkot : કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ બિરાદરોએ ‘આસ્થા’ સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું