દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે તેને ઘરમાં જ હુંફ આપો : પાટીદાર અગ્રણી R.P.PATEL
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી આર.પી.પટેલે સમાજને સૂચન આપતા આંતરજ્ઞાતિય લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, આપણી દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ મળે તેવું વાતાવરણ આપો જેથી તે અન્ય સમાજના યુવાનો સાથે ભાગી લગ્ન ન કરે.
ભગાડી જનાર મોટાભાગના લુખ્ખા તત્વો હોય છે - આર.પી.પટેલ
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજની દીકરીઓ કે જે અન્ય સમાજમાં લગ્ન કરે છે, તેમના અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને દીકરીને ઘરમાં જ લાગણી અને ફૂંફ આપવાની અપીલ કરી હતી. વધુમાં તેમના આ સમસ્યા અંગે સૂચન આપતા કહ્યું હતું કે - ઘર સમાજના દરેક પરિવારે ઘરમાં સભા થકી મા-બાપ સંતાન સાથે સંવાદ કરવો જોઈએ. વધુમાં તેમણે ભાગીને લગ્ન કરતા લોકો ઉપર પણ ટિપ્પણી આપતા કહ્યું હતું કે, ભગાડી જનાર મોટાભાગના લુખ્ખા તત્વો હોય છે.
દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે કે, તેઓ માતાપિતા સાથે છૂટથી વાતો કરી શકે
પાટીદાર અગ્રણી આર.પી.પટેલે મીડિયા સાથે વાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે - દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે કે, તેઓ માતાપિતા સાથે છૂટથી વાતો કરી શકે. દીકરીને કોઇની સાથે પ્રેમ હોય કે તેને કોઇ વ્યક્તિ ધમકાવે છે તો તે ઘરે આવીને વાત કરી શકે. તેને એવો વિશ્વાસ અપાવવો પડશે કે, મને કોઇ મદદ કરશે કે નહીં પરંતુ મારો પરિવાર અને મારા સમાજની સંસ્થા આમાં મારી મદદ કરશે.
પાટીદાર સમાજ દ્વારા પહેલા પણ આંતરજ્ઞાતિય લગ્નનો કાયદો કડક બનાવવાની કરાઇ હતી માગ
અહી ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ દ્વારા અગાઉ પણ આંતરજ્ઞાતિય લગ્નનના કાયદાને કડક બનાવવાની માંગ કરવામાં આવી હતી. પાટીદાર સમાજનું એવું માનવું હતું કે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી જરૂરી હોવી જોઈએ, એટલું જ નહીં પરંતુ લગ્ન નોંધણી થતી હોય ત્યારે તેની સાચી તપાસ પણ કરાવવી જોઈએ અને આ અંગે દીકરીના માતા-પિતાને તેની પણ જાણ કરાવવામાં આવી જોઈએ. એટલું જ નહીં પહેલા પણ ઉત્તર ગુજરાતના ચાણસ્મા પાસે આયોજિત એક સમારંભમાં 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ દ્વારા સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
પાટીદાર અગ્રણી આર.પી.પટેલની આવી ટિપ્પણી બાદ આંતરજ્ઞાતિય લગ્ન લોકોમાં નવો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો -- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક નોંધાઈ, સિઝનની સૌથી વધુ આવક થઇ