નર્મદા નદીમાં પૂરની સંભાવના, વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે લોકોને સલામત સ્થળે જવા કરી વિનંતી
નર્મદા ડેમમાંથી મધ્ય રાત્રી બાદ ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાની પૂરી સંભાવના છે, તેને પગલે નર્મદા નદીના કિનારે નીચાણમાં આવેલા ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે કલેકટર શ્રી અતુલ ગોરે વિનંતી કરી છે.
ડભોઇ, શિનોર અને કરજણ તાલુકા માટે એક NDRF અને બે SDRF ટીમ તૈયાર કરવામાં આવી છે ત્યારે સંભવિત અસરગ્રસ્ત ગામો માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ, મામલતદાર તથા નાયબ મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે એસટી તંત્રની બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વ્યાસ બેટમાં રહેલા નાગરિકોને લેવા માટે ખાસ બોટ મોકલવામાં આવી
ડભોઇ તાલુકાના ચાંદોદ નજીક નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ડભોઇ યાત્રાધામ ચાંદોદ ખાતે સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. ઘાટના 108 પગથિયાં નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા છે. નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરસંગ અને નર્મદા નદી બંનેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
મુખ્ય બજારમાં પાણી ફરી વળે તે પહેલા દુકાનદારો સામાન સમેટવા કામે લાગ્યા છે. ડભોઇ ચાંદોદ મલ્હારરાવ ઘાટ નજીક લોકના ટોળા પાણી જોવા ઉમટ્યા છે. તાલુકા વિકાસ અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા.
નર્મદાના એકતાનગર પાસેના વિસ્તારો ખાલી કરાવાયા છે. ગભાણા,પીપરિયા,વસંતપુરા વિસ્તાર ખાલી કરાવાયા છે. SOUની બસમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ગોરા ગામ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ખાતે લાઇટિંગનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં મધરાતે નર્મદા કાંઠેના ગામોમાં ઘોડાપૂર સંકટ છે. સરદાર સરોવર ડેમમાંથી 15 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાશે. નર્મદા નદીમાં પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની જળ સપાટી 25 ફૂટથી વધુ સપાટી વટાવે તેવી શક્યતા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા 6 સ્થળાંતર સેન્ટરો ઉભા કરાયા છે. 400 થી વધુ લોકોની જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાત,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતનાઓએ સ્થળાંતર સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો-KUTCH: માંડવી બીચ ખાતે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો