DEVGADH BARIA : મહિલા રોજગારીનું માધ્યમ બન્યા મહુડાના ફૂલ
DEVGADH BARIA : મધ્યગુજરાત (CENTRAL GUJARAT) માં જંગલ વિસ્તાર વધુ હોય અહીંયા મહુડા ના મોટા મોટા ઝાડ આવેલ છે. ખાસ કરીને મહુડા ના ઝાડ અમુક ખેડૂતો ના ખેતર માં હોય છે. જયારે બીજાં ઝાડ જંગલ ના વનવિભાગ હસ્તક હોય છે. દાહોદ જિલ્લા માં દેવગઢબારીયા, ધાનપુર, લીમખેડા, ઝાલોદ અને સંજેલી તાલુકા સહીત અન્ય તાલુકા માં પણ મહુડાના ઝાડ આવેલા છે. વન વિભાગ બારીયા વિસ્તાર માં જંગલ વિસ્તાર માં હાલમાં મહુડા ના ઝાડ ઉપર મહુડા ના ફૂલ આવતા આ ફૂલ વીણવા માટે વહેલી સવારથી લોકો જંગલ માં પહોંચી જતા હોય છે.
ઉનાળાની ઋતુમાં ફૂલ આવે
દેવગઢબારીયા તાલુકા ના હિંદોલિયા, ભૂલર,અંતેલા, ડાંગરીયા, મોટીઝરી, નાનીઝરી, ઉંચવાણ, બામરોલી, સીંગેડી, સહીત સાગટાળા થી છેક દિવ્યા ગામ સુધી મહુડા ના નાનામોટા ઝાડ આવેલા છે. શિયાળા ની ઋતુ પુરી થતા ઉનાળા ની ઋતુ માં મહુડા ના ઝાડ ઉપર ફૂલ આવે છે. આ ફૂલ ઘણીવાર મહુડા ના ઝાડ ઉપર થી રાત્રી ના સમયે નીચે પડી જતા હોય છે જેને અહીં આ વિસ્તાર માં રાતગોળ મહુડી ( રાતે મહુડા પડતા હોય ) કહેવાય છે. જયારે અમુક મહુડા ના ફુલ સૂર્ય નો ઉદય થયા પછી જેમ સૂર્ય ના કિરણો નીકળે તેમ મહુડા ના ફૂલ ધીમે ધીમે નીચે પડતા હોય છે. આ મહુડા ના ફૂલ અહીં ના આદિવાસી લોકો ની એક આજીવિકા પણ કહી શકાય. કારણકે ઘણા પરિવારો એવા છે કે જેઓ હાલમાં મહુડા ની સીઝન માં મહુડા ના ફૂલ વીણી તેને સુકવી અને વેચી આવક મેળવતા હોય છે. અને ઘણીવાર મહુડા વેચી તેના મળેલા નાણાં માંથી આખા વર્ષ નું અનાજ ઘરે લાવી પોતાની કોઠી માં ભરી દેતા હોય છે.
આર્યુવેદીક દવા તરીકે કામ કરે
સુકાઈ ગયેલ મહુડા ના ફૂલ ને ચણા સાથે સેકી અને ગોળ ઉમેરી તેને ખાવાથી આખા દિવસ નો થાક ઉતરી જતો હોય છે. જયારે મહુડા ફૂલ બળદો ને ખવડાવવા થી બળદ તાકાતવર બનતા હોય છે.મહુડા ના ફૂલ માંથી દેશી દારૂ પણ બનાવવા માં આવતો હોય છે જે દેશી દારૂ ક્યાંય પણ શરીર માં મૂઢમાર વાગ્યો હોય ત્યારે લગાડવાથી દુખાવો મટી જતો હોય છે. માટે એક આર્યુવેદીક દવા તરીકે આ દારૂ કામ કરે છે. દેવગઢબારીયા તાલુકા માં હાલ મહુડા ની સીઝન શરૂ થઈ ચુકી છે. હમણાં તાજેતર માં થોડા દિવસ અગાઉ વન વિભાગ બારીયા દ્વારા સહાયક વન મંડળીઓ ના કેટલાક લાભાર્થીઓ ને મહુડા ના ફૂલ ઝાડ ઉપર થી નીચે પડતા બગડે નહીં અને આ બધા ફુલ એકસાથે ભેગા કરી લેવાય તેને માટે મહુડા ના ઝાડ નીચે બાંધવા માટે ત્રીસ જેટલાં લાભાર્થી ને નેટ આપવામાં આવી છે.
ડોળિયું તેલ શુદ્ધ ઓર્ગેનિક હોય
મહુડા ના ઝાડ ઉપર થી તેના ફૂલ તો ઠીક પરંતુ ચોમાસા ની ઋતુ આવતા મહુડા ના ઝાડ ઉપર ફળ આવે છે. જે ફળ ને ડોળ કહેવાય છે. આ ડોળ માંથી ડોળી નીકળે છે. જે ડોળી ને તોડી તેના ગર્ભ ને સુકવી તેનું ઘાણી માં પીલાણ કરી તેનું તેલ કાઢવામાં આવે છે જે તેલ ને ડોળિયું કહેવાય છે. આ ડોળિયું તેલ શુદ્ધ ઓર્ગેનિક હોય છે.જેના સ્વાદ માં સહજ કડવાશ હોય છે. જે તેલ પણ આરોગ્ય માટે બહુ ગુણકારી હોય છે. અહીં ના લોકો સીઝન માં ડોળ વીણી તેની ડોળીઓ ના ગર્ભ ને સુકવી અને ઘાણી માં તેલ કઢાવી લાવતા હોય છે. લગભગ બારેમાસ નું ખાવાનું તેલ પણ મળી જતું હોય છે. આ ડોળિયું તેલ મોટા શહેરો માં મળતું પણ નથી.
ગ્રામીણ જનતા માટે એક કલ્પવૃક્ષ સમાન
વનવિભાગ બારીયા ના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે અમોએ ગામડા ની વન મંડળીઓ ના પ્રમુખ, મઁત્રી અને સભાસદો ને મહુડા ફૂલ વીણવા જતી વખતે હિંસક જંગલી જાનવરો જેવા કે રીંછ, દીપડા થી બચવા માટે એકલ દોકલ નહીં જવું તેમજ રાત્રી ના અંધારું સમયે ટોર્ચ અથવા મહુડા ના ઝાડ નીચે સૂકા પાંદડા ની આગ સળગાવી અજવાળું રાખવું હિતાવહ છે તેવું માર્ગદર્શન અગાઉ આપેલ હોવાનું જણાવ્યું હતું. આમ, દેવગઢબારીયા તાલુકા માં મહુડા ના ફૂલ અહીં ના લોકો માટે પૂરક રોજગારી તેમજ મહુડા ના ઝાડ વર્ષ માં બે વખત આવક આપતાં હોય ગ્રામીણ જનતા માટે એક કલ્પવૃક્ષ સમાન છે.
અહેવાલ - ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા
આ પણ વાંચો -- VADODARA : ક્ષત્રિય સમાજની મીટિંગના વાયરલ મેસેજને લઇ પોલીસ દોડતી થઇ