બિપોરજોય વાવાઝોડુઃ સ્થળાંતરની સંભવિત સ્થિતિ માટે આશ્રય સ્થાનો સંપૂર્ણ તૈયાર, જોખમી હોર્ડિંગ દૂર કરાયા
બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા તંત્ર હાઈએલર્ટ મોડ પર છે. રાજકોટ ખાતે આજે પ્રભારી મંત્રીશ્રી તથા પ્રભારી સચિવશ્રી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે. જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે તમામ વિભાગને હાઈ એલર્ટ મોડ પર રાખી તાલુકા દીઠ વર્ગ-૧ના લાયઝન અધિકારીને કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ જો રોડ બ્લોક થવાની સ્થિતિ ઉપસ્થિત થાય તો વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સંસાધનોથી તુરંત કાર્યવાહી કરવા અને તે માટે સંસાધનો તૈયાર રાખવા સૂચના અપાઈ છે.
તમામ તાલુકા-શહેરના સ્થળાંતર પાત્ર લોકોના વિસ્તારો, સંખ્યા અને તે મુજબ આશ્રય સ્થાનોની વ્યવસ્થા બાબતે કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપી ૮૦૦ ઉપરાંત શાળાઓ અને ૩૦૦ ઉપરાંત સમાજવાડીઓની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. હાલ સુધીમાં નડતરરૂપ અથવા જોખમી બની શકે તેવા ૯૬૦ જેટલા હોર્ડિંગ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પી.એચ.સી., સી.એચ.સી કેન્દ્રો તથા હોસ્પિટલોને તમામ જરૂરી સાધનો, દવાઓ સાથે તૈયાર રહેવામાં જણાવ્યું છે.
પીજીવીસીએલ, જેટકોને પણ તમામ તાલુકા વાઇઝ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે સાધનો સાથે ટીમોની રચના કરી તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ તેમજ ખેત મજૂરોમાં પણ જાગૃતિ લાવવા અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને પણ જાગૃત રહેવા જણાવી તમામ પ્રકારના સાધનો જેવા કે જેસીબી, ડમ્પર, ટ્રક, બસ, લાઈફ જેકેટ વગેરેની યાદી ફરીથી અદ્યતન કરવામાં આવી છે. જિલ્લાના સંભવતઃ અસર થઈ શકે તેવા વિસ્તારના લોકોને હાલ એલર્ટ રાખી તમામ વિભાગને તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ કલેકટરશ્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, લોકોને ગભરાવાની જરૂર નથી. તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાંઓ લેવાઈ રહ્યા છે, સાથે જ લોકો પણ જાગૃત રહે અને તંત્રને સહકાર આપે તેમ કલેક્ટર પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે.