વનકર્મી પર હુમલા મામલે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આજે કરશે સરેન્ડર! 1 મહિનાથી છે ભૂગર્ભમાં
આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં હવે આપના MLA ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. માહિતી છે કે ચૈતર વસાવા ડેડિયાપાડ પોલીસ મથકમાં આજે સરેન્ડર કરશે. જણાવી દઈએ કે, આ મામલે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં છે. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતના ગુના નોંધાયેલા છે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી બાદથી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલોસ સ્ટેશન ખાતે હાજર થઈ શકે છે. જણાવી દઈએ કે, વનકર્મી એ પોલીસ ફરિયાદ કરતા આ મામલે છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. આ કેસ હેઠળ ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી. માહિતી છે કે, આજે 10 વાગ્યા સુધી ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે.
ચૈતર વસાવાને લઈ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો આ દાવો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા 2024માં ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે. ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પરથી આપ પાર્ટી ચૈતર વસાવાને ચૂંટણી મેદાને ઉતારશે. તેમણે કહ્યું કે, હવે ચૈતર વસાવા ન તો કોર્ટમાં જશે અને ન તો પોલીસ પાસે તેઓ સીધા લોકસભાની ચૂંટણીમાં હાજર થશે. આ સાથે તેમણે પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીને લઈ ભરૂચમાં તૈયારીઓ શરૂ કરવા આહવાન પણ કર્યું હતું.
આ પણ વાંચો - ગોંડલમાં ઘરના સભ્યોની હાજરીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું