વનકર્મી પર હુમલા મામલે આપ MLA ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ રિમાન્ડની કરશે માગ
નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા મામલે ગઇકાલે એટલે કે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. જો કે, ગુરુવારે પોલીસ સમક્ષ હાજર થતા તેમને આજે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ ચૈતર વસાવાની પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરશે.
આજે કોર્ટમાં રજૂ કરાશે
આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવા પર નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ સહિતના આરોપ હેઠળ કેસ નોંધાયેલ છે. આ કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં હતા. જો કે, ગુરુવારે અચાનક તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, આજે એટલે કે શુક્રવારે પોલીસ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરશે અને તેમની પૂછપરછ માટે રિમાન્ડની માગ કરશે. અગાઉ ચૈતર વસાવાએ આ કેસમાં સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધા હતા.
'ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું ઘડવામા આવ્યું છે'
પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પહેલા આપ MLA ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું ઘડવા આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારી પત્નીને પણ જેલમાં બંધ કરવામાં આવી છે. પરંતુ, હું ડરવાનો નથી અને હું મારી અને આદિવાસીઓ માટે લડત ચાલુ રાખીશ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યો છું. મને કોઈ પણ રીતે ફસાવવામાં આવી રહ્યો છે.’ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મારી જીત થઈ ત્યારથી મારી સાથે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. હું મારી સાથે થયેલા ષડયંત્ર સામે અને આદિવાસી લોકો માટે લડતો રહીશ’. જણાવી દઈએ કે અગાઉ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે એક બેઠકમાં કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પરથી આપ પાર્ટી ચૈતર વસાવાને ચૂંટણી મેદાને ઉતારશે.
આ પણ વાંચો - પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો ઘટસ્ફોટ