અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં
- અવિભાજ્ય અને પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે
- બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ
- ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ માટે આજે કેટલાક નિર્ણયો કર્યા છે. જેનાથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. તેમજ રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિર્ણયોની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી છે.
અવિભાજ્ય અને પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. જે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.
આ પણ વાંચોઃ Gujarat : રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા
મુખ્યમંત્રીના નિર્ણયથી કયા ફાયદાઓ થશે ?
ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલ નિર્ણયોના ફાયદા વર્ણવતા જણાવ્યું કે, આ નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે. રોજગારી વધશે તેમજ રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. સૌથી મહત્વનું એ છે કે સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે. રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.
મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્રની પ્રક્રિયા બનાવવા માટે સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે. પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
25 વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાને લેવાશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં.
આ પણ વાંચોઃ Narmada Parikrama : મુખ્યમંત્રીનું પંચકોશી પરિક્રમા અવસરે નર્મદા મૈયાનું પૂજન અર્ચન