Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PI PSI Transfer ની ભલામણો અટકાવવા સરકારે મીડિયાનો ઉપયોગ કર્યો ?

PI PSI Transfer : ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધી સૌ કોઈ પોલીસ વિભાગમાં થતી બદલી-બઢતીઓમાં રસ ધરાવે છે. ગુજરાત સરકારે (Gujarat Government) મહિનાની શરૂઆતમાં જારી કરેલી એક અખબારી યાદીમાં પીઆઈ પીએસઆઈની બદલીને જારી કરાયેલા નિયમોની ચર્ચા પોલીસ કરતાં પ્રજામાં વધુ...
pi psi transfer ની ભલામણો અટકાવવા સરકારે મીડિયાનો ઉપયોગ કર્યો

PI PSI Transfer : ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધી સૌ કોઈ પોલીસ વિભાગમાં થતી બદલી-બઢતીઓમાં રસ ધરાવે છે. ગુજરાત સરકારે (Gujarat Government) મહિનાની શરૂઆતમાં જારી કરેલી એક અખબારી યાદીમાં પીઆઈ પીએસઆઈની બદલીને જારી કરાયેલા નિયમોની ચર્ચા પોલીસ કરતાં પ્રજામાં વધુ હતી. પરિપત્ર (Circular) ના નામે મીડિયામાં સતત ચમકેલા સમાચારો બાદ ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા પીઆઈ-પીએસઆઈમાં છૂપો રોષ ફાટી નીકળ્યો હતો. માત્ર નાના અધિકારીઓ માટે જ નિયમ. રાજ્યના ગૃહ વિભાગે PI PSI Transfer માં પારદર્શિતાની કરેલી બિન સત્તાવાર જાહેરાતનો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) છેદ ઉડાડી દીધો છે કે ફોડ પાડવા માગતા નથી. કથિત પરિપત્ર-જાહેરાતને લઈને પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

Advertisement

કથિત જાહેરાતમાં રમત કે સરકારે પાછી પડી ?

જ્યારે જ્યારે બદલી-બઢતીની મૌસમ પોલીસ વિભાગમાં આવે છે ત્યારે લાગવગીયા પોલીસ અધિકારીઓ સક્રિય થઈ જાય છે. ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના શરણે પહોંચી મનગમતા સ્થાને નિમણૂક મેળવવા આમ તો તમામ ખાતામાં અધિકારીઓ પ્રયત્નશીલ રહે છે. વર્ષોથી સત્તાધારી પક્ષના નેતાઓ ખુદના ફાયદા માટે પોતાના જિલ્લા-શહેરમાં પીઆઈ પીએસઆઈને લઈ જાય છે. પીઆઈ ટુ ડીવાયએસપી પ્રમોશન (PI to DySP Promotion) ની ચાલી રહેલી તૈયારીમાં ગાંધીનગર ખાતે ભલામણોનો ભારે દોર ચાલી રહ્યો હતો. મોટાભાગની ભલામણ જે-તે જિલ્લા અને રેન્જમાં નોકરી કરીને ગયેલા અધિકારીઓને પરત ફરવાની હતી. 233 પીએસઆઈને અપાયેલી બઢતી (PSI Promotion) ના દિવસે જ એક કથિત પરિપત્ર જારી થયો. એક ચર્ચા અનુસાર ભારે સંખ્યામાં આવતી ભલામણો પર પૂર્ણ વિરામ મૂકવા માટે કોઈ ઠોસ કારણ જોઈએ અને એટલે જ કથિત પરિપત્ર મીડિયામાં ચમક્યો. PI PSI Transfer માં નવા નિયમો લાગુ થયાની વાતથી ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા પીઆઈ પીએસઆઈમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ નિષ્પક્ષ રહેશે અને ફરજ સિવાયની અન્ય કોઈ કામગીરી નહીં કરે તેવા સંદેશા રાજ્યભરમાંથી નેતાઓએ ગાંધીનગર પહોંચાડતા સરકાર પાછી પડી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

DySP અને IPS માટે કેમ નિયમો નહીં ?

રાજ્ય પોલીસ દળમાં કૉન્સ્ટેબલરી સ્ટાફ પછી સૌ મોટું મહેકમ પીઆઈ પીએસઆઈનું છે. ઈન્ટરનેટના યુગમાં રાજ્યના તમામ પીઆઈ પીએસઆઈ ક્યાંથી પણ એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે. નાના પોલીસ અધિકારીઓ માટે બનાવાયેલા નિયમ બાદ સોશિયલ મીડિયા પર સરકારની નીતિ રીતિને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. આઈપીએસ અધિકારીઓ (IPS Officers) અને ડીવાયએસપી પોતાની પસંદ અનુસાર કમિશનરેટ, જિલ્લા અને રેન્જમાં ફરી જઈ શકે છે, તો તેમના માટે કેમ નિયમ નથી બનાવાયો. PI PSI Transfer ના કથિત પરિપત્ર બાદ એક વાત એવી પણ સામે આવી હતી કે, ડીવાયએસપી અને આઈપીએસ અધિકારીઓ માટે પણ નિયમો જારી થશે. મોટા સાહેબો માટે નિયમો જારી થાય તે પહેલાં જ પરિપત્રની વાત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.

Advertisement

મીડિયા પાસે કેવી રીતે આવ્યો પરિપત્ર ?

ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં સરકારના માહિતી વિભાગ (Information Department Gujarat)  તરફથી એક પ્રેસ નોટ મોકલવામાં આવી હતી. જેનું મથાળુ હતું પીઆઈ પીએસઆઈની બદલી પ્રક્રિયા પારદર્શક બનાવવા ગૃહ વિભાગ (Home Department Gujarat) નો મહત્વપૂર્ણ નિર્ણય. સરકારની આ પ્રેસનોટના આધારે તમામ મીડિયાએ પરિપત્રના નામે સમાચાર ચલાવ્યા અને પ્રકાશિત પણ થયા. પીઆઈ પીએસઆઈની પારદર્શક બદલી પ્રક્રિયા મામલે સરકારના મંત્રી કે DGP એ એકપણ વખત સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. અત્રે નોંધનીય છે કે, ગુજરાત પોલીસ વડા (HoPF Gujarat) વિકાસ સહાયે રાજ્યની તમામ રેન્જ, કમિશનરેટ અને અન્ય એજન્સીમાં તૂટક તૂટક 5 વર્ષ કે તેથી વધુ નોકરી કરી હોય તેવા PI PSI ના નામોની યાદી મગાવી છે.

પારદર્શક બદલી માટે જાહેરાત કરવાની શું જરૂર ?

ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP Gujarat) પાસે પીઆઈ પીએસઆઈની બઢતી-બદલીની તમામ સત્તાઓ છે. કયા અધિકારીને ક્યાં મૂકવા અને નહીં મૂકવા તે માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ગૃહ વિભાગને પણ નિર્ણય લેવાની પૂરેપૂરી સત્તા છે. પારદર્શક બદલી પ્રક્રિયા કરવી હોય તો તેમાં જાહેરાત કરવાની શું જરૂર છે તેવા સવાલો આજે પણ પોલીસ અધિકારીઓ એકબીજાને પૂછી રહ્યાં છે. આ વખતે પારદર્શક બદલીઓ કરાશે તેવી જાહેરાત ભૂતકાળમાં કરાયેલી બદલીઓ પર મોટો સવાલ પેદા કરે છે.

લોકસભા ચૂંટણીમાં પણ અનેક અધિકારી અંધારામાં રહ્યાં

ગત લોકસભા ચૂંટણી (Lok Sabha 2024) વખતે પણ મોટાભાગના પીઆઈ પીએસઆઈ બદલીઓના નિયમોને લઈને અંધારામાં રહ્યાં હતા. નિર્ધારીત સ્થળે બદલી કરાવવા માટે મોટી સંખ્યામાં ભલામણ ના આવે તે માટે પોલીસ બેડામાં એક વાત વહેતી કરાઈ હતી. વિધાનસભા વિસ્તાર આધારિત પોલીસ અધિકારીઓને બદલવામાં આવશે. ઉદાહરણરૂપ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદ (East Ahmedabad) માં નોકરી કરી ચૂકેલા અધિકારી પશ્ચિમ અમદાવાદ (West Ahmedabad) માં ફરજ બજાવતા હશે તો ત્રણ વર્ષની નોકરીનો કાર્યકાળ ગણવામાં આવશે નહીં. વિધાનસભા વિસ્તાર આધારિત બદલીની વહેતી થયેલી વાતોમાં આવી ગયેલા અનેક પોલીસ અધિકારીઓને જ્યારે હુકમ મળ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા.

Tags :
Advertisement

.