રામથી બન્યા પરશુરામ, જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી અનોખી વાતો
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. માન્યતા છે કે ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા. આજના દિવસે તેમનો જન્મોત્સવ ધૂમધામ પુર્વક મનાવવામાં આવે છે. સુખ-સૌભાગ્યની કામના કરતા લોકો અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની ખાસ પૂજા કરે છે તેમની મોટી શોભા યાત્રા કાઢે છે.
પરશુરામ જયંતીનું ધાર્મિક મહત્વ
મહર્ષિ જમદગ્નિના પુત્રેષ્ટિ યજ્ઞથી પ્રસન્ન થઇને ઇન્દ્રના વરદાન સ્વરૂપ માતા રેણુકાની કુખે ભગવાન વિષ્ણુએ ‘આવેશાવતાર’ રૂપમાં જન્મ લીધો. મહાભારત અને વિષ્ણુ પુરાણને અનુસાર તેના જન્મ સમયે રામ નામ હતું. પરંતુ તેમણે ભગવાન શંકરને પોતાની ઘોર તપસ્યાથી તેમનું અમોઘ શસ્ત્ર ‘પરશુ’ પ્રાપ્ત કર્યુ જેથી તેનું નામ ‘રામ’થી ‘પરશુરામ’ થઇ ગયું. જન્મથી બ્રાહ્મણ હોવા છતાં પણ તેમનામાં ક્ષત્રિયોચિત ગુણો હોવા પાછળની એક કથા છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પૃથ્વી પર પાપ અને અધર્મને દૂર કરવા માટે થયુ હતુ. ભગવાન પરશુરામે એવા અધર્મી રાજાનો વધ કર્યો, જેમણે પોતાના કર્તવ્યોનું પાલન ન કરી, ખોટા કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું.
આઠ ચિરંજીવીમાં સામેલ છે ભગવાન પરશુરામ
માન્યતા એવી પણ છે કે અન્ય અવતારોની જેમ પરશુરામ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. આઠ ચિરંજીવીઓમાં ભગવાન પરશુરામ સહિત મહર્ષિ વેદવ્યાસ, અશ્વસ્થામાં, રાજા બલિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ઋષિ માર્કંડેય છે જેઓ આજે પણ આ કળયુગમાં વિચરણ કરી રહ્યા છે. પરશુરામ જયંતી પર જે પણ ભક્ત સાચ્ચી શ્રદ્ધાથી ભગવાન પરશુરામને યાદ કરે છે. તેમની આરાધના કરે છે તેના પર તેમના આશીર્વાદ વરસી શકે છે અને તેમના જીવન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થાય છે.
આ પણ વાંચો : હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે, આવો જાણીએ