Pahalgam Terror Attack : આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી, જાણો સાર્થકે બીજુ શું કહ્યું...
- આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
- દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ સમગ્ર આખી ઘટના વર્ણવી
- મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી હતી
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વતનમાં લાવીને અંતિમસંસ્કાર કરાયા છે. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ સમગ્ર આખી ઘટના વર્ણવી હતી.
મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી હતી
મૃતક સ્મિતના મામાના દીકરા અને દુર્ઘટના સમયે પહેલગામમાં હાજર સાર્થક નાથાણીએ મુખ્યમંત્રી આગળ ઘટના જણાવતા કહ્યું કે, અમે જતા હતા ત્યાં ગોળીનો અવાજ આવ્યો એટલે સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી હતી. હું 10 ફૂટ જેટલો દૂર હતો. આતંકીએ મારી સામે જોયું, પણ હું દીવાલ પાછળ સંતાઇ ગયો તેથી બચી ગયો હતો. ત્યાં 300-400 લોકો હતા, તેમજ એક પણ આર્મી જવાન નહોતો. અડધા કલાકે તો આર્મી આવી. મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી હતી.
સાર્થકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમે શ્રીનગરથી ફરવા ગયા હતા
સાર્થકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમે શ્રીનગરથી ફરવા ગયા હતા, બે દિવસનો પ્રોગ્રામ હતો. અમે ટિકિટ લઇને ઉપર ગયા એની બે-ત્રણ મિનિટમાં ફાયરિંગ થયું. પછી થોડીકવાર એકદમ શાંતિ થઇ ગઇ અને ફરીથી બધાને અચાનક ગોળીઓ વાગવા લાગી હતી. એમાં મારા ફૂવા અને મારા ફોઇના છોકરા સ્મિતને ગોળીઓ વાગી ગઇ હતી. પોતાના બચાવ અંગે સાર્થક વધુમાં કહે છે કે, મેં મારો બચાવ મારી જાતે કર્યો, મારા ફોઇને પણ મેં બચાવ્યા એમને હું ઘોડામાં બેસાડીને નીચે લાવ્યો હતો. ત્યાં મોટુ કારણ એ હતું કે ત્યાં ઘણા લોકો હતા પણ કોઇ આર્મી જવાન નહોતા. ત્યાં ચારેબાજુથી ફાયરિંગ થતું હતું.
મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.
આ પણ વાંચો: LIVE: Pahalgam Terror Attack : આતંકીઓ અને તેમના આકાઓને કલ્પના બહારની સજા મળશે - PM Modi