ભારતે ચોખાની નિકાસ પર મુકેલા પ્રતિબંધો-નિયંત્રણોને લઇ ચોખાના ભાવ વિશ્વભરમાં આસમાને
દેશમાં ચોખાના ભાવ સતત વધવા લાગ્યા છે. સરકારે ચોખાના ભાવને અંકુશમાં રાખવા માટે અનેક નિયંત્રણો લાદ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ચોખાની કિંમત 12 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. સરકારે તાજેતરમાં બોઈલ્ડ ચોખાની નિકાસ પર નિકાસ ડ્યુટી વધારી છે.
20 જુલાઈએ ભારત સરકારે નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, ચોખાની કિંમત વૈશ્વિક સ્તરે 12 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે, કારણ કે ચોખાના શિપમેન્ટની કિંમતમાં 80 ટકાનો વધારો થયો છે. હવે સરકારે બાફેલા ચોખા પર 20 ટકા નિકાસ ડ્યુટી લગાવી છે, જેના કારણે ચોખાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
વિશ્વની ચોખાની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ભારત ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને અમેરિકામાં બાસમતી ચોખાની નિકાસ કરે છે. ભારતે 2022-23માં 4.8 અબજ ડોલરના 4.56 મિલિયન ટન બાસમતી ચોખાનું ઉત્પાદન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, $6.36 બિલિયનના 17.79 મિલિયન ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી.
ભારતે 2022-23માં 135.54 મિલિયન ટન અને 2021-22 દરમિયાન 129.47 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું. અન્ય દેશો પણ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે, કારણ કે ચોખાનો પાંચમો સૌથી મોટો નિકાસકાર મ્યાનમાર પણ નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે અને થાઈલેન્ડે તેના ખેડૂતોને પાણી બચાવવા માટે ચોખાની ખેતી ઘટાડવાની સલાહ આપી છે.
છેલ્લા બે મહિનામાં સ્થાનિક બજારમાં ફરી એકવાર મોંઘવારી વધવા લાગી છે. મે મહિનામાં સૌથી નીચી સપાટીને સ્પર્શ્યા બાદ મોંઘવારી સતત વધી રહી છે અને જુલાઈ મહિનામાં તે 7 ટકાને પાર કરી ગઈ છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મોંઘવારી અંકુશમાં લેવા માટે સતત અનેક પગલાં લઈ રહી છે. જે અંતર્ગત બાસમતી ચોખાની નિકાસને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે હવે પ્રતિ મેટ્રિક ટન $1,200 થી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે નિકાસકારો આ દરે માત્ર મોંઘા બાસમતી ચોખા જ દેશની બહાર મોકલી શકશે