Telangana Election 2023: ભારત જીતવા નિકળેલા KCRએ ગૃહરાજ્ય પણ ગુમાવ્યું
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની સાથે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ આજે આવી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તેલંગાણાની રચના 2013માં થઈ હતી. આ પછી આ ત્રીજી ચૂંટણી છે. કેસીઆર આ ચૂંટણીમાં સીએમ તરીકે હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બે વખતના સીએમ કેસીઆર માટે આ મોટો ફટકો છે. કેસીઆરની હાર પાછળનું મુખ્ય કારણ તેમનો રાષ્ટ્રીય રાજકારણ તરફનો ઝુકાવ માનવામાં આવે છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ કેસીઆરે લોકસભા ચૂંટણી માટે ત્રીજા મોરચાની વાત કરી હતી. 2024ની ચૂંટણી પહેલા પણ તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સાથે જોડાયા ન હતા. ઓક્ટોબર 2022 માં, KCR એ રાષ્ટ્રીય મંચ પર લાવવા માટે તેમની પાર્ટી TRS (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) નું નામ બદલીને BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) કર્યું.
એટલું જ નહીં, જ્યારે તેલંગાણાની ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી હતો અને કોંગ્રેસ-ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યમાં કેસીઆર વિરુદ્ધ માહોલ બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે કેસીઆર 700-700 કારોના કાફલા સાથે તેલંગાણાની બહાર મહારાષ્ટ્રમાં પ્રસારમાં વ્યસ્ત હતા. આ રેલીઓમાં સમગ્ર તેલંગાણા કેબિનેટ પણ તેમની સાથે જતુંહતું. એટલું જ નહીં, કેસીઆર અલગ-અલગ રાજ્યોમાં ગયા અને વિપક્ષી નેતાઓને મળ્યા. તેઓ પટના પણ ગયા હતા અને જૂનમાં નીતિશ કુમારને મળ્યા હતા.
નિષ્ણાતોનું માનવું છે કે કેસીઆર પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. એટલું જ નહીં, તેમને તેલંગાણામાં જીતનો વિશ્વાસ હતો, તેમનો ઈરાદો તેમના પુત્ર કેટી રામારાવને તેલંગાણાના રાજકારણમાં સ્થાપિત કરવાનો હતો. રામારાવ તેમની સરકારમાં મંત્રી પણ હતા. પરંતુ કેસીઆરનું આ પગલું આ વિધાનસભા ચૂંટણીમાં બેકફાયર થતું જણાય છે. જ્યાં એક તરફ તેમણે તેમના ગૃહ રાજ્ય તેલંગાણામાં સત્તા ગુમાવી છે, તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને પોતાની સાથે લાવવાના તેમના પ્રયાસો પણ સફળ થતા જણાતા નથી.
આ પણ વાંચો -વધુ એક રાજ્યમાં ભાજપ યોગીને કમાન સોંપે તેવી અટકળો