ભારતને અનેક ભાગોમાં વહેંચી અનેક દેશો બનાવવાના આતંકી ગુરપતવંત સિંહ પન્નુના નાપાક ઇરાદાનો પર્દાફાશ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખાલિસ્તાન સમર્થક અને યુએસ સ્થિત પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ડોઝિયર તૈયાર કર્યુ છે. ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે પન્નુ ભારતને અલગ-અલગ ભાગોમાં વહેંચીને ઘણા દેશો બનાવવા માંગે છે.
પન્નુ વિરુદ્ધ દેશભરમાં 16 કેસ નોંધાયેલા છે
ડોઝિયર અનુસાર, તે દેશને ધાર્મિક આધાર પર વિભાજિત કરવા માંગે છે. તે મુસ્લિમોને ફસાવીને એક મુસ્લિમ દેશ બનાવવા માંગે છે, જેને તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઉર્દુસ્તાન નામ આપવા માંગે છે. તે કાશ્મીરના લોકોને પણ ભડકાવવા માંગે છે. તેનો ઈરાદો કાશ્મીરને ભારતથી અલગ કરવાનો છે. ડોઝિયર અનુસાર, પન્નુ વિરુદ્ધ દેશભરમાં 16 કેસ નોંધાયેલા છે. તેની સામે દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં કેસ નોંધાયેલા છે.
ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કરવામાં આવેલો છે
1947માં દેશના ભાગલા સમયે પન્નુ પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટ ગામમાં આવ્યો હતો. તેણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. પન્નુને એક ભાઈ છે, જેનું નામ મગવંત સિંહ છે. તે વિદેશમાં રહે છે. ગુરપતવંત સિંહ પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ પંજાબને ભારતથી અલગ કરીને ખાલિસ્તાન બનાવવાની માંગ કરે છે. પન્નુને 2020માં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો અને 7 જુલાઈ, 2022ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.
પન્નુ સામે 9 UAPA કેસ નોંધાયેલા છે
પંજાબના સરહિંદ અને અમૃતસરમાં પન્નુ વિરુદ્ધ UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન V) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ UAPA હેઠળ દિલ્હીમાં ચાર, ગુરુગ્રામમાં એક અને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં એક કેસ નોંધાયેલ છે. NIAએ પન્નુ વિરુદ્ધ UAPA કેસ પણ નોંધ્યો છે. આ રીતે તેમની સામે 9 UAPA કેસ નોંધાયેલા છે.
ગુરપતવંત સિંહ પન્નુની નાપાક યોજનાઓ
પન્નુએ ઇન્ડિયા ગેટ પર ખાલિસ્તાન તરફી ધ્વજ ફરકાવવા માટે અઢી મિલિયન યુએસ ડોલરની જાહેરાત કરી છે. તેણે ઓડિયો મેસેજ દ્વારા ભારત વિરુદ્ધ અનેકવાર ઝેર ઓક્યું છે. તેના સાગરિતો દ્વારા, તેણે દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ઘણી વખત ખાલિસ્તાન તરફી ધ્વજ અને પોસ્ટરો લગાવવાનો પ્રયાસ કર્યો છે.