Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : માસૂમોના મોતની કિંમત ફક્ત 750 રૂપિયા ?

વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani lake) ગઈકાલે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા સહિત કુલ 14 જિંદગી હોમાઈ હતી. આ ઘટનાને લઈ રાજ્યભરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સરકાર દ્વારા જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની...
vadodara   માસૂમોના મોતની કિંમત ફક્ત 750 રૂપિયા

વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani lake) ગઈકાલે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા સહિત કુલ 14 જિંદગી હોમાઈ હતી. આ ઘટનાને લઈ રાજ્યભરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સરકાર દ્વારા જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કુલ 6 આરોપીની ધરપકડ કરાઈ છે. ત્યારે હવે ન્યૂ સનરાઇઝ સ્કૂલનો (New Sunrise School) એ લેટર સામે આવ્યો છે, જેમા પ્રવાસને લગતી વિગતો છે. 1 દિવસના પ્રવાસ માટે સ્કૂલ તરફથી દરેક બાળક પાસેથી રૂ. 750 ફી પેટે ઊઘરાવવામાં હતા. જો કે, આ પ્રવાસ પછી 12 માસૂમ અને 2 શિક્ષિકાના મૃતદેહ જ ઘરે આવ્યા.

Advertisement

વડોદરાની (Vadodara) વાઘોડિયા રોડ ખાતે આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલ તરફથી 'ફન ટાઇમ અરેના હારણી' (Fun Time Arena Harani) પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેનો એક લેટર સામે આવ્યો છે, જેમાં પ્રવાસે લગતી વિગત છે, જેમાં ફી સહિતની માહિતી દર્શાવવામાં આવી છે. સ્કૂલના આ લેટર મુજબ, પ્રવાસ અંગ્રેજી પ્રાથમિક વિભાગ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ ગુરુવારે એટલે કે 18-01-2024 ના રોજ એક દિવસ માટેનો હતો. પ્રવાસ માટે ફી પેટે રૂ. 750 વિદ્યાર્થી દીઠ ઊઘરાવવામાં આવ્યા હતા, જેમાં ટ્રાન્સપોર્ટ ફી, ફન ટાઇમ અરેના પ્રવેશ ફી, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન-વલ્ડ રાઈડ, વોટર પાર્ક રાઈડ, બોટિંગ, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજે આઈસ્ક્રીમનો સમાવેશ કરાયો હતો.

Advertisement

'રૂ. 750 ફી, પ્રવાસની નહીં પણ તેમના વ્હાલસોયાની મોતની કિમત બની!'

જો કે, કેટલાક વાલીઓએ પોતાના વ્હાલસોયાની ખુશી અને તેમને નવો અનુભવ થાય, આનંદ મળે તે માટે વિશ્વાસ રાખીને સ્કૂલ સંચાલકોને સોંપ્યાં હતાં. પરંતુ, તેમને શું ખબર હતી કે રૂ. 750 ફી પ્રવાસની નહીં પણ તેમના વ્હાલસોયાની મોતની કિમત બની જશે. વાલીઓને શું ખબર હતી કે રૂ. 750 ભરીને તેઓ પોતાના કાળજાના કટકાને આનંદના પ્રવાસે નહીં પરંતુ, જિંદગીના છેલ્લા પ્રવાસે મોકલી રહ્યાં છે. જે પરિવારમાં પહેલા ખુશીની કિલકારીઓ ગૂંજતી હતી, ત્યાં અત્યારે મોતના મરસિયા ગવાઈ રહ્યા છે. જે માતાના ખોળામાં બેસી ભૂલકાઓ મોજ-મસ્તી કરતા હતા. તે માતા હવે હૈયાફાટ રુદન કરી રહી છે. જે આંખોમાં પોતાના કાળજાના કટકાનો સોનેરી જીવનના સપના જોયા હતા. તે આંખોમાં આજે આંસુ રોકાતા નથી. આ આંસુ એક-બે નહીં પણ 12-12 પરિવારના છે...જ્યાં, હવે આક્રંદ, કલ્પાંત અને રુદન જોવા મળી રહ્યું છે. આ મામલે સરકાર અને પોલીસ તંત્ર જલદી કાર્યવાહી કરીને જવાબદાર લોકોને કડકમાં કડક સજા કરે એવી અપેક્ષા છે. કોઈ ઢાંકપિછોડો ન થાય અને મૃતક માસૂમ અને તેમના પરિવારજનોને ન્યાય મળે.

Advertisement

આ પણ વાંચો - Dwarka : રામભક્તિનો અનોખો અંદાજ, દરિયામાં લહરાવ્યો બજરંગબલીના ચિત્રવાળો ભગવો, જુઓ Video

Tags :
Advertisement

.