VADODARA : સહારા ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને CID ક્રાઇમનું તેડું
VADODARA : સહારા ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લી (SAHARA CREDIT COOPERATIVE SOCIETY LIMITED) માં રોકાણ કરનારા લોકોને રૂપિયા પરત મેળવવામાં ડખા થઇ રહ્યા છે. આ કેસ સંદર્ભે તાજેતરમાં સીઆઇડી ક્રાઇમ (CID CRIME - VADODARA) દ્વારા 15 જેટલા રોકાણકારોને નિવેદન આપવા માટે કચેરીએ બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ તમામને 13 મી તારીખે કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પૈસા પરત ચુકવવામાં આવ્યા ન્હતા
સુનિલ અર્જુનભાઇ સોલંકી (રહે. કપુરાઇ ગામ, વાણીયા શેરી) એ વર્ષ 2019 માં વડોદરા સીઆઇડી ક્રાઇમમાં સહારા ક્રેડિટ કો. ઓ. સો. લિ. ના ડાયરેક્ટરો અને હોદ્દેદારો વિરૂદ્ધ છેતરપીંડિની ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર, રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચે રોકાણ કરાવવામાં આવ્યું હતું. જો કે બાદમાં પાકતી મુદતે પૈસા પરત ચુકવવામાં આવ્યા ન્હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, તે સમયે આ રીતની છેતરપીંડિનો આંક રૂ. 4 કરોડથી વધુનો હતો.
માહિતી મંગાવવામાં આવી
સુત્રો જણાવી રહ્યા છે કે, કાર્યવાહી સંદર્ભે વડોદરા ખાતેની સહારાની બે ઓફીસ સીલ કરી દેવામાં આવી છે. ઓગષ્ટ - 2022 માં વડોદરાના નાયબ કલેક્ટર દ્વારા રોકાણકારો પાસેથી તેમના ક્લેઇમની રકમ અંગેની માહિતી મંગાવવામાં આવી હતી. તે સમયે તેનો આંક રૂ. 250 કરોડ જેટલો હોવાનું સામે આવ્યું હતું. જો કે, ત્યાર બાદથી લઇને આજદિન સુધી રોકાણકારોને તેમના પૈસા પરત મળ્યા નથી.
ચુકવણી કરી દેવામાં આવી હોવાનો દાવો
સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજે પણ સહારાની ત્રણથી વધુ ઓફીસો ચાલી રહી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા પુછપરછ કરવા માટે બોલાવવામાં આવેલા રોકાણકારોને જણાવવામાં આવ્યું કે, સહારાના કર્મચારીઓ દ્વારા પૈસાની ચુકવણી કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની વિગતની ખરાઇ કરવા માટે રોકાણકારોને બેંક પાસબુક અને બેંક સ્ટેટમેન્ટ લઇને આવવા જણાવ્યું હતું. આગામી 13 તારીખે રોકાણકારોને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હોવાનું સીઆઇડી ક્રાઇમના સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ક્રિકેટર TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં