પુત્રીઓએ પિતાના પાર્થિવ દેહને આપ્યો અગ્નિદાહ , ભરૂચના લોહાણા સમાજની ઘટના
અહેવાલઃ કોશીક છાંયા, કચ્છ
ભચાઉ લોહાણા સમાજમાં સંભવિત પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યાં પુત્રીઓએ પિતાની અંતિમક્રિયા કરી હોય. .ભચાઉ નગરના રામવાડી પાસેના મુખ્ય માર્ગે આવેલી HDFC બેંક નજીક કિરાણા શોપ ચલાવતા 60 વર્ષીય નવીનચંદ્ર બાબુલાલ કારીયાનું શારિરિક બીમારીની સારવાર દરમિયાન ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં કુદરતી અવસાન થયું હતું. સદગતના પાર્થિવ દેહને ભચાઉ નિવાસસ્થાન ખાતે લાવી હિન્દુ રીતી રિવાજ મુજબ અંતિમવિધિની રસમ શરૂ કરવામાં આવી, પરંતુ ઉપસ્થિત પરિજનોમાં અંતિમક્રિયાને લઇ સંદેહ હતો. કારણ કે સદગતને સંતાનમાં પુત્રીઓ હતી.
જોકે સમાજના લોકોએ પુત્રીઓને હિંમત આપી અંતિમવિધિ માટે કહેતા પુત્રીઓએ પણ પોતાના પાલનહાર પિતાને ભારે હૈયે પણ સ્વમાનભેર વિદાય આપી ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ સમયે લોહાણા સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ પુત્રીઓની હિંમતને નમ આંખો સાથે બિરદાવી હતી.
સદ્દગત નવિનભાઇના નાના ભાઈ અનિલ ઠક્કર વર્ષોથી પ્રભાત ફેરી દ્વારા વિવિધ વસ્તુઓનું એકત્રીકરણ કરી જીવદયાની પ્રવુતિ કરે છે, જેમાં તેમના ભાઈ માર્ગદર્શક સાબિત થાય હતા. તો નવિનભાઇના ધર્મપત્ની મધુબેન અને મોટી પુત્રી પ્રિયાનું વર્ષ 2001ના ભૂકંપમાં નિધન થયું હતું. ત્યારબાદ પુત્રીઓ જલ્પા, રુચિ અને નિશાની પરવરિશ કરી સ્નાતક સુધીનો અભ્યાસ કરાવ્યો હતો