SABARKANTHA : લાંબડીયામાં તસ્કરોએ ગોડાઉન ફૂંકી માર્યું
SABARKANTHA : સાબરકાંઠા (SABARKANTHA) જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ખેતરોમાં તથા ઘરો પાછળ આવેલ વાઘામાંથી અગમ્ય કારણોસર પથ્થરમારો કરીને ભય ફેલાવી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ લાંબડીયા સ્થિત એક ભંગારના ગોડાઉનમાં આગ લગાડી દેતા ગામમાં ભય ફેલાઇ ગયો હતો. એટલુ જ નહી પણ અજાણ્યા શખ્સોએ અંધારાનો લાભ લઇને ઘરો પર પથ્થરમારો કરતા રહીશોને રાત્રે જાગવાનો વખત આવ્યો છે. ત્યારે સોમવારે ગામના કેટલાક રહીશોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. તેમજ જરૂર પડે હથીયારધારી પોલીસને પેટ્રોલીંગ કરવા માટે મોકલવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવાયુ છે.
ઘરો તથા દુકાનો પર પથ્થરમારો
આ અંગે લાંબડીયાના ગ્રામજનોએ જિલ્લા પોલીસવડાને આપેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ લાંબડીયા વેપારી મથક છે. પરંતુ મુખ્ય પોલીસ સ્ટેશન ખેરોજમાં છે. જેથી રાત્રીના સમયે લાંબડીયા આઉટપોસ્ટ હોવાથી કોઇ સ્ટાફ હાજર રહેતો નથી. જેના લીધે રાત્રી પેટ્રોલીંગ પણ થતુ નથી. છેલ્લા એક મહિનાથી અજાણ્યા શખ્સો લાંબડીયામાં ભય ફેલાવાના આશ્યથી રાત્રીના સમયે ઘરો તથા દુકાનો પર પથ્થરમારો કરી રહ્યા છે.
રસ્તે થઇને નિકળવાની હિંમત કરતા નથી
દરમિયાન બે દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ ગામમાં આંતક ફેલાવવાના આશ્યથી એક ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી. જેથી ગ્રામજનો આગ બુઝાવવા માટે જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અંધારાનો લાભ લઇને પથ્થરમારો કર્યો હતો. લાંબડીયાની આજુબાજુ અંદાજે નાના-મોટા ૧૫થી વધુ ગામો આવેલા છે. જેના લીધે રાત્રે અનેક નાના-મોટા વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે રોડની સાઇડમાંથી અથવા તો વાઘા કોતરોમાંથી અજાણ્યા શખ્સો ભય ફેલાઇ પથ્થરમારો કરે છે. ત્યારે કેટલાક લોકો ફરીથી આ રસ્તે થઇને નિકળવાની હિંમત કરતા નથી. આવેદનપત્રમાં જણવાયા મુજબ જિલ્લા પોલીસવડાએ લાંબડીયા તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની સલામતી ખાતર ઘોડેસવાર પોલીસ તથા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવવાની માંગ તીવ્ર બની છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો -- AHMEDABAD : સૌરાષ્ટમાં ભારે વરસાદમાં રૂટ ખોરવાતા ST બસની અસંખ્ય ટ્રીપ રદ્દ