માનસિક બીમારીથી ત્રસ્ત 57 વર્ષીય આધેડ પુરુષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ! અને પછી...
અહેવાલ - સંજય જોશી
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતા અને માનસિક બીમારીથી ત્રસ્ત 57 વર્ષીય વિનોદભાઇ પટનીએ ગળાના ભાગે ચાકુ ઘુસાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જેથી સઘન સારવાર માટે તાત્કાલીક તેઓને સિવિલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા.
108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સિવિલ હોસ્પીટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં હતા અને ચાકુનો ધારવાળો ભાગ તેમના ગળામાં જ ખૂપેલો હતો તથા ચાકુનુ હેન્ડલ બહાર દેખાતુ હતુ. પરિવારજનો નાં કહેવા મુજબ આ સમય દરમ્યાન ઘણું બધુ લોહી વહી ગયું હતું. સિવિલ હોસ્પીટલ પહોંચતાં જ તેમને તાત્કાલીક સારવાર આપવામાં આવી. સોનોગ્રાફી કરતાં ચાકુની આગળનો અણી વાળો ભાગ ગળાની મુખ્ય ધમનીની ઉપર જ હતો. વધારે સમય આ પરિસ્થિતીમાં દર્દીને રાખવુ ખૂબ જ જોખમ ભરેલું હતુ. થોડી પણ હલન ચલન થાય અને ચાકુની ધાર થી ગળાની મુખ્ય ધોરી નસ કપાઈ જાય તો દર્દીને બચાવવું મુશ્કેલ બની જાય. આથી તરત જ તેમને ઓપરેશન થીયેટર માં લઇ જવામાં આવ્યા. એનેસ્થેસીયા વિભાગના ડૉ. શ્વેતા જાની તથા ડૉ.શીતલ ચોધરીની ટીમે ફ્લેક્સીબલ લેરીગોસ્કોપની મદદથી ગળામાં ટયુબ નાખી અને બેહોશ કરવામાં આવ્યા. દર્દી ને બ્લડપ્રેશર ,ડાયાબીટીશ , બાયપાસ , ઓબેસીટી જેવી હઠીલી બીમારીઓ હોઇ બેભાન કરવું પણ ખૂબ જ પડકારજનક હતું.
સિવિલ હોસ્પિટલના ઇ એન ટી વિભાગ ના ડૉ. ઇલા ઉપાધ્યાય ( પ્રાધ્યાપક અને વડા ) , ડો, દેવાંગ ગુપ્તા ( સહ પ્રાધ્યાપક )ની ટીમ દ્વારા કાળજીપુર્વક ગળામાં ઘૂસેલા ચાકુની આજુબાજુના અંગોને ચાકુની ધારથી દુર કરવામાં આવ્યા તથા ચાકુની અણી ગળાના બધા મહત્વનાં અંગને ઇજા ન કરે તેનું ખુબ ધ્યાન રાખીને સાડા ત્રણ થી ચાર કલાકનાં ઓપરેશન બાદ સફળતા પૂર્વક ચાકુ બહાર કાઢવામાં આવ્યું . અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની કાર્યક્ષમતા અને નિપુણતાના પરિણામે પીડિતને નવજીવન આપ્યું છે .તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિનોદ ભાઈની સારવારમાં થોડી પણ ચૂક થઈ હોત કે મોડું થયું હોત તો તેમના જીવનું જોખમ હતું. સિવિલમાં તબીબોની સમય સુચકતાં તથા કાર્ય દક્ષ્તાને કારણે હાલ દર્દીની તબિયત સારી છે અને હાલ વિનોદ ભાઈને તેમની પરિસ્થિતિ સ્થિર થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો - Diwali 2023 : તહેવારોમાં ઇમરજન્સી કેસો માટે 108 નો સ્ટાફ તૈયાર..!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે