શું રેપો રેટમાં હજુ પણ વધારો થશે? RBIના ગવર્નર શક્તિકાંત દાસે આપ્યા સંકેત
રિઝર્વ બેંક ઓફ
ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે
વધતી જતી ફુગાવાને રોકવા માટે જૂનની શરૂઆતમાં નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરમાં
વધુ એક વધારાનો સંકેત આપ્યો હતો. રિટેલ ફુગાવો છેલ્લા ચાર મહિનાથી સેન્ટ્રલ બેંકના
સંતોષજનક સ્તરથી ઉપર રહ્યો છે. દાસે CNBC-TV18 ને કહ્યું, પોલીસી રેટમાં વધારો થવાની સંભાવના છે. પરંતુ આ વધારો કેટલો થશે તે અંગે હું કંઈ કહેવાની સ્થિતિમાં નથી.
તે વધીને 5.15 ટકા થશે તેવું કહેવું કદાચ બહુ સાચું નથી. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આગામી બેઠક 6-8 જૂનના રોજ યોજાશે.
નોંધનીય છે કે
આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં કોઈપણ નિશ્ચિત સમયપત્રક વિના રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો હતો. આ ચાર
વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ વધારવામાં આવ્યો હતો. એપ્રિલમાં તેની નાણાકીય નીતિ
સમીક્ષામાં મધ્યસ્થ બેંકે રશિયા-યુક્રેન યુદ્ધને
કારણે વધતા વૈશ્વિક તણાવને ટાંકીને ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અનુમાનને 4.5 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો હતો. તેણે 2022-23 માટે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) અંદાજ પણ 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યો. દાસે કહ્યું કે રિઝર્વ બેંક અને સરકારે ફુગાવાને
નિયંત્રણમાં લાવવા માટે નવા સંકલિત પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે
છેલ્લા બે-ત્રણ મહિનામાં રિઝર્વ બેંકે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલાં
લીધા છે.
બીજી તરફ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ
ડ્યુટી ઘટાડવા જેવા પગલાં લીધાં છે. દાસે કહ્યું કે આ તમામ પગલાં વધતી જતી
મોંઘવારી પર અંકુશ મેળવવામાં મદદ કરશે. સરકારે રિઝર્વ બેંકને રિટેલ ફુગાવો બે થી છ
ટકાની રેન્જમાં રાખવાનો આદેશ આપ્યો છે. તે આ શ્રેણીની ઉપર છે. સીપીઆઈ આધારિત
ફુગાવો એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો છે જે અગાઉના મહિનામાં 6.95 ટકા હતો. જ્યારે એપ્રિલ 2021માં તે 4.21 ટકા હતો. ગવર્નરે કહ્યું, રશિયા અને બ્રાઝિલ સિવાય લગભગ દરેક દેશમાં વ્યાજ દરો નીચા સ્તરે
છે. વિકસિત દેશોમાં ફુગાવાનો લક્ષ્યાંક લગભગ 2 ટકા છે. જાપાન અને અન્ય એક દેશને બાદ કરતા તમામ વિકસિત દેશોમાં
ફુગાવો 7 ટકાથી ઉપર રહે છે. રાજકોષીય ખાધ અંગે
દાસે જણાવ્યું હતું કે સરકાર લક્ષ્ય હાંસલ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કદાચ
લોન મર્યાદા વધારવાની જરૂર નહીં પડે. નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધ 6.4 ટકા રહેવાનો અંદાજ છે.