શું પ્રશાંત કિશોર કોંગ્રેસનો બેડો પાર કરશે ? 4 દિવસમાં સોનિયા ગાંધી સાથે 3જી મુલાકાત
કોંગ્રેસ
હવે ફરી એકવખત લડી લેવાના મૂડમાં લાગી રહ્યું છે. કોંગ્રેસમાં એક તો પ્રશાંત કિશોરની
એન્ટ્રીને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આગામી
ચૂંટણીને લઈને મેદાનમાં ઉતરી ગયું છે. કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે છેલ્લા 4
દિવસમાં 3 મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અધ્યક્ષ
સ્થાને યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન '10 જનપથ' પર આજે પણ એક મોટી બેઠક ચાલી રહી છે. ચૂંટણી
રણનીતિકાર પ્રશાંત કિશોર હજુ પણ કોંગ્રેસના મોટા નેતાઓ સામે પ્રેઝન્ટેશન આપી રહ્યા
છે. છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ
અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પ્રેઝન્ટેશન આપવા માટે 10 જનપથ પહોંચ્યા છે.
મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોર 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની
રણનીતિ તૈયાર કરી રહ્યા છે. પ્રશાંત કિશોર લોકસભા ચૂંટણી માટે પ્રેઝન્ટેશન આપી
ચૂક્યા છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે રાજ્યવાર ચૂંટણીની
રણનીતિને લઈને પ્રેઝન્ટેશન આપી રહ્યા છે. આજની બેઠકમાં સોનિયા ગાંધી, પ્રશાંત કિશોર, કમલનાથ, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ, અંબિકા સોની હાજર છે. આજની
બેઠકમાં મધ્યપ્રદેશ પર પણ ચર્ચા થશે. આવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી
યોજાવાની છે. એટલા માટે આ બેઠકમાં કમલનાથ પણ હાજર છે. આ પહેલા 16 એપ્રિલે પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના
અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
પ્રશાંત કિશોરે સોનિયા
ગાંધીને સૂચન કર્યું છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા
હાથે ચૂંટણી લડવી જોઈએ. જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને
મહારાષ્ટ્રમાં તેને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવું જોઈએ. . તેમના આ સૂચન પર
રાહુલ ગાંધીએ પોતાની સંમતિ આપી દીધી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાસે પ્રશાંત
કિશોરના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે 2 મે સુધીનો સમય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની સૌથી જૂની પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં 370 સીટો પર પોતાના ઉમેદવારો
ઉભા રાખવા જોઈએ.
પ્રિયંકા ગાંધી વાડ્રા, મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા અને અંબિકા સોની સોનિયા
ગાંધીના નિવાસસ્થાન '10 જનપથ' પર અગાઉની બેઠકમાં હાજર
હતા. જો કે પ્રશાંત કિશોર અને તેમના પ્રસ્તાવને લઈને કોંગ્રેસમાં અસંતોષ છે, તેવા અહેવાલો આવી રહ્યા છે. કારણ કે તે એવા પક્ષો અને નેતાઓ સાથે પણ
ચૂંટણી રણનીતિ બનાવવાનું કામ કરી રહ્યા છે જેઓ કોંગ્રેસના સીધા હરીફ છે અને પક્ષ
સાથે સારા સંબંધો નથી. આ નેતાઓમાં બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી YSRCPના વડા જગન મોહન રેડ્ડી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર
રાવનો સમાવેશ થાય છે. પ્રશાંત કિશોરે મમતા બેનર્જી અને જગનમોહન રેડ્ડી માટે સફળ
ચૂંટણી પ્રચાર કર્યો છે. આ બંને નેતાઓ પોતપોતાના રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ
થયા છે.