આપણે માતૃભાષાને રોજીંદા વ્યવહારમાં કેમ મુકતા નથી?
એક ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા વર્તમાનપત્રના કાર્યાલયમાંથી એક બપોરે એક મીઠા અવાજમાં બોલતી બહેનનો ફોન આવ્યો ને તેણે મને પૂછ્યુ'આપ કૌનસા અખબાર પઢતે હૈ?'મેં પણ હિન્દીમાં જવાબ આપ્યો અને પછી થોડીક લાંબી પૂછપરછ એ બહેને સરસ હિન્દીમાં મારી સાથે કરી અને મેં પણ મારી આવડત પ્રમાણે હિન્દીમાં એ બહેનને જોઈતી હતી તે તમામ માહિતી આપી.ફોન પુરો થયા પછી મારા મનમાં વિચાર ઝબકી ગયો કે આપણે બેઠા છીએ ગુજà
એક ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા વર્તમાનપત્રના કાર્યાલયમાંથી એક બપોરે એક મીઠા અવાજમાં બોલતી બહેનનો ફોન આવ્યો ને તેણે મને પૂછ્યુ"આપ કૌનસા અખબાર પઢતે હૈ?"મેં પણ હિન્દીમાં જવાબ આપ્યો અને પછી થોડીક લાંબી પૂછપરછ એ બહેને સરસ હિન્દીમાં મારી સાથે કરી અને મેં પણ મારી આવડત પ્રમાણે હિન્દીમાં એ બહેનને જોઈતી હતી તે તમામ માહિતી આપી.
ફોન પુરો થયા પછી મારા મનમાં વિચાર ઝબકી ગયો કે આપણે બેઠા છીએ ગુજરાતમાં. ફોન આવ્યો છે એક જાણીતા ગુજરાતી છાપામાંથી જેને ફોન કરવામાં આવ્યો છે.તે પણ ગુજરાતી જ હશે કારણકે ગુજરાતી છાપાંઓ વિષે પૂછપરછ કરાઇ છે. તો પછી એ બહેને ગુજરાતીમાં બોલવાને બદલે આ માટે હિન્દી ભાષા પસંદ કરી હશે? શક્ય છે કે એ બહેન પોતે હિન્દીભાષી હોઈ શકે.
અને કદાચ ઘણું કરીને એ હિન્દીભાષી ન પણ હોય પણ આપણી ગુજરાતીઓની એક એવી માનસિકતા બંધાઈ ગઈ છે કે કોઇ પણ અજાણ્યા માણસ સાથે વાત કરવી હોય તો હિન્દીમાં જ કરવી.આપણે કોઈ હોટલમાં જઈએ તો જે કોઈ પૂછપરછ કરવાની હોય તે આપણે હિન્દીમાં જ કરીએ છીએ. આપણે બસ સ્ટેશન ઉપર પણ મોટેભાગે અજાણ્યા માણસો સાથે હિન્દી ભાષામાં જ પૂછપરછ કરવાનું પસંદ કરીએ છીએ શું આ આપણી માનસિકતા છતી નથી કરતું?
અહીં આપણી પ્રિય રાષ્ટ્રભાષા હિન્દીના ઉપયોગ સામે લેશ માત્ર વાંધો નથી પણ જ્યારે આપણી પાસે આપણી હાથવગી માતૃભાષા ગુજરાતી છે અને આપણે ગુજરાતમાં જ બેઠા છીએ અને ગુજરાતી લોકો સાથે જ વ્યવહાર કરવાનો છે તો પછી દુકાનોમાં, બજારોમાં , સિનેમા હોલમાં એવા બીજા જાહેર સ્થળોએ આપણા મગજમાં ગુજરાતીમાં વાત કરવાને બદલે હિન્દીમાં વાત કરવાની જે આદત પડી ગઈ છે તે કદાચ એક સૂક્ષ્મ અર્થમાં માતૃભાષા સાથેનો નાનકડો અન્યાય છે.
આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ કે પછી કોઈ અંગ્રેજી માધ્યમની શાળામાં જઈએ ત્યારે અંગ્રેજી આવડતું હોય તો અંગ્રેજીમાં નહિતર મોટેભાગે આપણે હિન્દીમાં જ બોલતા હોઈએ છીએ.
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી લોકો સાથે ગુજરાતીમાં જ સંવાદ કરવાનું પસંદ કરે છે. હા એ વાત અલગ છે કે તેમને માધ્યમો દ્વારા જે વાત આખા દેશમાં પહોંચાડવી હોય તો તે હિન્દી ભાષાને પસંદ કરે પણ કોઈ કુટુંબમાં જાય, કોઈ સામાજિક મેળાવડામાં જાય, કોઈ ગુજરાતી વાતાવરણના કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે તેઓ ક્યારેય હિન્દીમાં બોલતા નથી કારણ કે તેમને તેમની ગુજરાતી માતૃભાષાના ગૌરવને સાચવવાની ચિંતા છે.
આજકાલ આપણા યુવાન વિદ્યાર્થીઓ પણ ગુજરાતી હોવા છતાં બહાર નીકળે ત્યારે આ અંગ્રેજીમાં કા હિન્દીમાં બોલવાનું પસંદ કરે છે આ બંને ભાષાઓ સામે આપણો કોઈ વાંધો વિરોધ નથી પણ જ્યારે તમે બે ગુજરાતીઓ એક સાથે એકબીજા સાથે સંવાદ કરતા હો ત્યારે અકારણ ત્રીજી ભાષાનો ઉપયોગ શા માટે કરવો જોઈએ એનો તર્ક સમજાતો નથી. વર્ષ 1942માં લન્ડનમાં મહાત્મા ગાંધીએ ગુજરાતીઓની એક સભામાં કરેલું વિધાનછે કે , “જ્યારે બે ગુજરાતીઓ એકબીજા સાથે અંગ્રેજીમાં વાત કરે છે ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે.”
પેલા લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી વર્તમાનપત્રમાંથી આવેલા પૂછપરછના ફોનમાં હિન્દી ભાષાનો ઉપયોગ કેમ કરાયો હશે એ મારા મનમાં ઉઠેલા પ્રશ્નમાંથી હું જેમ વિચારતો ગયો તેમ તેમ મને લાગ્યું કે આ તો એક સામાન્ય શિરસ્તો બની ગયો છે અને આ શિરસ્તો આપણે તોડવો જોઈએ અને એ માટે સૌ કોઈએ સાથે મળીને આપણા ગુજરાતમાં, આપણા ગુજરાતીઓ સાથે આપણી ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ.
Advertisement