કેમ થાય છે કાશ્મીરી પંડિતોની હત્યા ? આર્મી ઓફિસરે કર્યો ચોંકાવનારો દાવો
ખીણમાં કાશ્મીરી પંડિતોની લક્ષ્યાંકિત હત્યાઓને લઈને ઉત્તરી સેનાના
કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે આવા હુમલાઓ પાછળ
કાશ્મીરમાં આતંકનું વાતાવરણ જીવંત રાખવાનું છે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે, આતંકવાદીઓ કાશ્મીરી પંડિતો અને બિન-સ્થાનિક મજૂરોની હત્યા કરી
રહ્યા છે જેથી ઘાટીમાં આતંકનું વાતાવરણ જળવાઈ રહે. જનરલ દ્વિવેદીએ એક ખાનગી ન્યૂઝ
એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાન ઘાટીમાં આતંકી હુમલાનું કાવતરું
ઘડી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન એક સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ
ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે સ્થાનિક આતંકવાદી એકમો બનાવી રહ્યું છે
જેથી તેની છબી ખરાબ ન થાય.
ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વર્ષમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પીપલ્સ એન્ટી-ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF), ગઝનવી ફોર્સ, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ, ગિલાની ફોર્સ, લશ્કર-એ-મુસ્તફા જેવા અનેક સંગઠનોની રચના થઈ છે. લશ્કર-એ-ઈસ્લામ અને જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર સંગઠનોએ ખીણમાં તાજેતરના આતંકી
હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઘાટીમાં હિંદુઓ પરના હુમલામાં ખાસ કરીને આ સંગઠનોનો
હાથ છે. જનરલ દ્વિવેદીના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી
ગતિવિધિઓને રોકવા માટે પાકિસ્તાન પર જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ છે. આથી પાકિસ્તાન
હવે આતંકવાદી સંગઠનોને સ્વદેશી રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જનરલ દ્વિવેદીએ
એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ
આપવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી તે બિન-સ્થાનિક મજૂરો, કાશ્મીરી પંડિતો અને અન્ય લોકોને નિશાન બનાવીને ઘાટીમાં આતંકવાદી
પ્રવૃત્તિ જાળવી રાખવા માંગે છે. જનરલ દ્વિવેદીના જણાવ્યા અનુસાર, સેના બિન-સ્થાનિક મજૂરો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા
હુમલાઓનું વિશ્લેષણ કરી રહી છે અને આવા હુમલાઓને નિષ્ક્રિય કરવાના માર્ગો પણ શોધી
રહી છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી ઘાટીમાં
આતંકવાદીઓ દ્વારા 17 કાશ્મીરી પંડિતો અને બિન-સ્થાનિકોની
હત્યા કરવામાં આવી છે.