અમદાવાદમાં ગરમી વધતાં પાણીજન્ય રોગચાળો વકર્યો, જાણો કેટલા કેસ
અમદાવાદમાં એપ્રીલ માસમાં ઝાડા-ઉલટીનાં 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે. સામે પ્રદુષીત પાણીની પણ મળતી ફરીયાદો વચ્ચે 215 પાણીના સેમ્પલ અનફીટ જાહેર થતાં ચિંતા પ્રસરી ગઇ છે.
ચાલુ સીઝનમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી સુધી પહોંચ્યો છે પરીણામે પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ વધારો નોધાયો છે.એપ્રીલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 371 અને કમળાના 82 કેસ નોંધાયા છે. એક તરફ રોગચાળાએ માથુ ઉચક્યુ છે તો બીજી તરફ દુષીત પાણીની ફરિયાદો પણ વધી છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે અત્યાર સુધીમાં પાણીના 215 જેટલા સેમ્પલ પણ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ માસે શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઉલટીના 371 કેસ નોધાયા છે જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના કુલ 1091 કેસ નોંધાયા છે. કમળાના ચાલુ માસે 82 કેસ નોંધાયા છે જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 443 કેસ નોંધાયા છે. ચાલુ મહીને ટાઈફોઈડના 79 કેસ નોંધાયા છે જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 367 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે.